અમેરિકાની પ્રખ્યાત અવકાશ એજન્સી નાસા અને સ્પેસએક્સના સહયોગમાં ગુરુવાર, 22 ફેબ્રુઆરીએ IM-1 મિશનના કમર્શિયલ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ખાસ બાબત એ છે કે આ લેન્ડરની ડિસ્કમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુદેવ અને વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્ય અને જીવન ભાવનાને પ્રતિબિંબિત કરતો સંદેશ કોતરવામાં આવ્યો હતો.

ગત 22 ફેબ્રુઆરી, ગુરુવારે, યુ.એસ. સમય પ્રમાણે સાંજે 6:23 વાગ્યે, અને ભારતના સમય મુજબ 23 ફેબ્રુઆરીની વહેલી સવારે, વિશ્વ પ્રસિદ્ધ અમેરિકન અંતરિક્ષ વિજ્ઞાની સંસ્થા NASA અને SpaceXના સહિયારા ઉપક્રમે ચંદ્ર પર IM–1 ઓડિસીયસ મૂન લેન્ડરનું સફળતાપૂર્વક ઊતરાણ થયું છે. ભારત, સનાતન ધર્મ અને વિશ્વના ધાર્મિક ઇતિહાસ માટે એક ગૌરવવંતી ઘટના એ છે કે આ ચંદ્રયાનની સાથે ભારતના વૈશ્વિક મહાન સંતવિભૂતિ અને પ્રસિદ્ધ હિન્દુ ધર્મગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ(1921-2016, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ)ના વૈશ્વિક કાર્ય અને જીવનભાવનાને પ્રતિબિંબિત કરતો સંદેશ કોતરવામાં આવ્યો હતો.

તા. 22મી ફેબ્રુઆરીએ જ્યારે ચંદ્ર પર આ યાને ઊતરાણ કર્યું ત્યારે મિશન ડિરેક્ટર ટીમ ક્રેન દ્વારા આ મિશનની સફળતાની જાહેરાત કરવામાં આવી હતી, “ઓડિસીયસને તેનું નવું ઘર મળ્યું છે.’ IM–1 લેન્ડરના ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પરના સફળતાપૂર્વક ઉતરાણની સાથે સાથે, આ લેન્ડરમાં એરોસ્પેસ કંપની ‘રિલેટિવ ડાયનેમિક્સ’ દ્વારા નિર્મિત અને પ્રમુખ સ્વામી મહારાજના સંદેશને અંકિત કરતી એક ખાસ પથ્થરમાંથી બનાવાયેલી ડિસ્ક ચંદ્ર પર સ્થાપિત કરવામાં આવી છે, ચંદ્ર પર તેના પહોંચવાની ક્ષણોને સૌએ વધાવી લીધી હતી.

આ મિશન છેલ્લાં 50 વર્ષોમાં યુ.એસ.એ.ના  એરક્રાફ્ટ દ્વારા ચંદ્રની સપાટી પરના સૌપ્રથમ નિયંત્રિત ઉતરાણ હોવાની સાથે સાથે NASA(નાસા)ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનના કહેવા મુજબ ‘માનવજાતની સફળતા’ રૂપ પણ છે. આ સફળતા વિજ્ઞાન અને આધુનિકતમ ટેકનોલોજીના અદ્‌ભુત વિનિયોગની સાથે કરુણા અને સંવાદિતાને મૂર્તિમંત કરી બતાવનાર આધ્યાત્મિક ગુરુના વૈશ્વિક સંદેશમાં છે.

IM–1ના ઉતરાણ પહેલાં, Intuitive Machines(ઈંટયુટીવ મશીન્સ) દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન અને સંદેશને linkedin (લિકન્ડઇન) પર આ રીતે અંજલિ આપવામાં આવી હતીઃ

“Intuitive Machines(ઈંટયુટીવ મશીન્સ) અને Relative Dynamics(રિલેટિવ ડાયનેમિક્સ), એ બંનેના સહકારથી નિર્મિત IM–1 મિશન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા ગુરુ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને શાશ્વત અંજલિ આપવા જઈ રહ્યું છે. હિન્દુ આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના નિસ્વાર્થ સેવામય જીવનને અંજલિ અર્પતા શબ્દો ડિસ્ક પર કોતરવામાં આવ્યા છે. અવકાશ સંશોધનમાં રાષ્ટ્રો અને વિવિધ કોર્પોરેશનો વચ્ચેનો આ પ્રકારનો સાંસ્કૃતિક સહયોગ સહિયારા મૂલ્યો, પ્રયત્નો અને જવાબદારીને વિકસિત કરે છે.”

Intuitive Machines(ઈંટયુટીવ મશીન્સ)ના સીઇઓ સ્ટીફન આલ્ટેમસે જણાવ્યું છે કે “સૌના સહિયારા સહયોગ અને આવાં સહિયારા મૂલ્યો દ્વારા અવકાશી સંશોધનો આપણા સૌના માટે, સમગ્ર માનવજાત માટે ઉપકારક છે.”
આ રીતે IM–1 દ્વારા સનાતન હિંદુ ધર્મની ‘વસુધૈવ કુટુમ્બકમ્‌” ની ભાવના અને સંવાદિતા, એકતા અને કરુણાનો સાર્વત્રિક સંદેશ ચંદ્ર પર પહોંચ્યો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને સનાતન ધર્મના આવા વૈશ્વિક મહાન સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો તેમની આકૃતિ સાથેનો પવિત્ર સંદેશ ચંદ્રની ધરતી પર પહોંચ્યો છે તેનાં અજવાળાં ભવિષ્યમાં હજુ વધુ વિસ્તરશે અને વિશ્વને તેમાંથી પ્રેરણા મળતી રહેશે. ચંદ્ર પર  ભારતીય સંત મહાપુરુષને અંજલિ આપતા આ એક  અજોડ ગૌરવવંતા અવસરનો આનંદ સૌ કોઈ માણી રહ્યા છે.

LEAVE A REPLY

two × 1 =