કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષમાં બળવા સહિતની સ્થિતિની સમીક્ષા માટે શનિવારે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે દોઢ વર્ષ પછી ફરી રાહુલ ગાંધીની જ તાજપોશી કરવા સંમતિ સધાઈ હોવાનું માનવામાં આવે છે. જોકે જાન્યુઆરીમાં પક્ષના પ્રમુખ માટે આંતરિક ચૂંટણી યોજીને રાહુલના નામની સત્તાવાર જાહેરાત થવાની ધારણા છે.

સોનિયા ગાંધીના નિવાસ સ્થાન ૧૦ જનપથ પર લગભગ પાંચ કલાક ચાલેલી બેઠકમાં પક્ષના ૨૦ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખી નેતૃત્વ સામે ઉઠાવેલા સવાલ પછી સૌપ્રથમ વખત આવી બેઠક મળી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછી પ્રમુખપદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યાના દોઢ વર્ષ પછી ફરી પાછા રાહુલ ગાંધીને જ પ્રમુખ બનાવવા માટે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીએ પણ પક્ષ જે જવાબદારી આપે તે નિભાવવા તૈયારી દર્શાવી હતી. આ બેઠકમાં દેશભરમાં દરેક સ્તર પર પક્ષને મજબૂત કરવા માટે પંચમઢી અને શિમલા શિબિર જેવા સંમેલનો યોજવાનો નિર્ણય લેવાયો હતો.

આ બેઠક પછી વરિષ્ઠ નેતા પવન બંસલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વ સામે કોઈને વાંધો નથી તેમ કોરોના મહામારી વચ્ચે સૌપ્રથમ વખત સોનિયા ગાંધી પક્ષના નેતાઓને રૂબરુમાં મળ્યા હતા. આ બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પૃથ્વીરાજ ચવાણ, મનિષ તિવારી, શશી થરુર સહિતના અસંતુષ્ટ નેતાઓએ પણ હાજરી આપી હતી.

બેઠકમાં અસંતુષ્ટ નેતાઓએ રાહુલ ગાંધીને ફરીથી પક્ષપ્રમુખ બનાવવા જણાવ્યું હતું. આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પક્ષ તેમને જે જવાબદારી આપશે તે નિભાવવા તેઓ તૈયાર છે. તેમણે કહ્યું કે ચૂંટણી જ નક્કી કરશે કે નેતા કોણ હશે. કોંગ્રેસમાં જાન્યુઆરીમાં પક્ષપ્રમુખની ચૂંટણી યોજાઈ શકે છે. બેઠકમાં સોનિયાએ કહ્યું કે આપણે એક મોટા પરિવાર સમાન છીએ. પક્ષને મજબૂત બનાવવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.જોકે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું હતું કે, પક્ષમાં બધી જ સમસ્યાઓનો ઉકેલ આવી ગયો છે. કોંગ્રેસના 99.99 કાર્યકરો રાહુલ ગાંધીને પક્ષપ્રમુખ તરીકે ઇચ્છે છે. જોકે સુરજેવાલના નિવેદનથી નારાજ અસંતુષ્ટ નેતાઓએ કહ્યું કે સમસ્યાઓનો ઉકેલ આવી જ ગયો હોય તો બેઠક યોજવાની જરૂર જ શું છે?