(Photo by NICHOLAS KAMM/AFP via Getty Images)

ભારતીય અર્થતંત્ર હજુ પણ પડકારજનક સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સરકાર અર્થતંત્રમાં સંપૂર્ણ રિકવરી ઈચ્છતી હોય તો તેણે અનેક મોટા નિર્ણયો લેવાની જરૂર છે તેમ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું.

દેશમાં આગામી સપ્તાહે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે વિશ્વના અગ્રણી અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું હતું કે બજેટમાં સરકારે અર્થતંત્ર અંગે એક મજબૂત લાઈન દોરવાની જરૂર છે. આર્થિક રિકવરી માટે સરકારે સાવધાનીપૂર્વક ખર્ચ કરવાની જરૂર પડશે. રઘુરામ રાજને જણાવ્યું કે, બજેટ એક ભાવી દસ્તાવેજ હોય છે, જે દેશની આગામી યોજનાઓ દર્શાવે છે. બજેટમાં પાંચ અથવા ૧૦ વર્ષનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ.

લોકો બજેટ પ્રત્યે ઘણી આશાઓ રાખતા હોય છે, પરંતુ સરકાર પાસે સંશાધનો મર્યાદિત હોવાથી નાણા પ્રધાન હવે ખુલ્લા હાથે ખર્ચ કરી શકતાં નથી. તેમણે ઉમેર્યું કે દુનિયાના બધા જ દેશો માટે મોંઘવારી ચિંતાનો વિષય છે અને ભારત તેમાં અપવાદરૂપ નથી. રઘુરામ રાજને કહ્યું કે, સરકારે અર્થતંત્રમાં ‘કે’ આકારની રીકવરી રોકવા માટે વધુ નક્કર પગલાં લેવાની જરૂર છે. અર્થતંત્રમાં કે-શેપ રિકવરી એક એવી સ્થિતિ દર્શાવે છે, જ્યાં કેટલાક સેક્ટર વધુ તીવ્ર ગતિએ વિકસે છે જ્યારે કેટલાક સેક્ટર આ દોડમાં પાછળ રહી જાય છે. આવા સંજોગોમાં સામાન્ય રીતે કે-શેપની રિકવરીમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) અને મોટી કેપિટલ કંપનીઓમાં તિવ્ર ગતિએ વૃદ્ધિ કરે છે જ્યારે નાના અને મધ્યમ ઉદ્યોગોની વૃદ્ધિ પર મહામારીની ગંભીર અસર થાય છે. રઘુરામ રાજન હાલ શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર છે.