પંજાબમાં જન્મેલા બીજા વિશ્વયુદ્ધના અનુભવી સૈનિક, હવલદાર-મેજર રાજિન્દર સિંહ ધટ્ટ MBEનું બુધવાર 21 મે 2025ના રોજ 103 વર્ષની વયે યુકેમાં અવસાન થયું હતું. યુકેમાં સાઉથ એશિયન સમુદાય પ્રત્યેની તેમની સેવાઓ બદલ ડિસેમ્બર 2024માં ધટ્ટને કિંગ ચાર્લ્સ દ્વારા ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (MBE) તરીકે સન્માનિત કર્યા હતા.
રાજિન્દર સિંહ ધટ્ટનો જન્મ 21 ઓક્ટોબર, 1921ના રોજ પંજાબમાં થયો હતો. તેઓ ફેબ્રુઆરી 1941માં ભારતીય સેનામાં સિપાહી (પ્રાઇવેટ) તરીકે જોડાયા હતા. રાજિન્દર સિંહે 1942 થી 1943 સુધી ફીજીકલ ટ્રેઇનીંગ ઇન્સટ્રક્ટર (PTI) અને 1943 થી 1949 સુધી આર્મી સ્ટોરકીપર તરીકે સેવા આપી હતી. તેમણે 1949ના અંતમાં હવાલદાર-મેજરના પદ સાથે નવા સ્વતંત્ર ભારતની સેના છોડી દીધી હતી. તેમણે ભારતના કોહિમામાં 1944માં જાપાની ડીફેન્સને તોડી પાડવામાં સાથી દળોને ટેકો આપ્યો હતો.
ધટ્ટ 1963માં તેમના પરિવાર સાથે હાઉન્સલોમાં સ્થાઇ થયા હતા. ધટ્ટ યુકે સ્થિત અનડીવાઇડેડ ઇન્ડિયન એક્સ સર્વિસમેન એસોસિએશનના સ્થાપક સભ્ય હતા. તેમને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 2.5 મિલિયન-મજબૂત અનડિવાઇડેડ ઇન્ડિયન અર્મીના યોગદાન અને બલિદાન વિશે જાગૃતિ લાવવા માટે તેમને યાદ કરવામાં આવશે.
ડૉ. મનીષ તયાલ MBEએ શ્રી ધટ્ટને અંજલિ આપતાં કહ્યુ હતુ કે ‘’અમે પહેલી વાર ઓક્ટોબર 2014માં મળ્યા હતા. હું યુકેના સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત પ્રોજેક્ટ ‘વી વેર ધેર ટુ’ માટે પાયો નાખતો હતો ત્યારે તેમની પાસેથી ભૂતપૂર્વ સૈનિકો સંગઠન વિશે શીખી રહ્યો હતો. તે વખતે તેમણે કહ્યું હતું કે “અલબત્ત હું ગર્વિત શીખ છું. પરંતુ અમે હિન્દુ, મુસ્લિમ કે શીખ તરીકે નહિં પણ ભારતીય તરીકે સેવા આપી હતી. અમે બધાએ સાથે સેવા આપી હતી.”
2015માં સેનોટાફ રિમેમ્બરન્સ પરેડમાં 94 વર્ષીય હવાલદાર-મેજર ધટ્ટે સાથી UIESA નિવૃત્ત સૈનિકો સાથે કૂચ કરવાનો આગ્રહ રાખ્યો હતો અને કહ્યું હતું કે હું PTI છું, મારે કૂચ કરવી જ જોઈએ.”
