(istockphoto.com)

રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયા બાદ ગૃહમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 11માંથી નવ બેઠકો ભાજપે મેળવી હતી અને રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 92 થયું છે, જ્યારે કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 38 થઈ છે. રાજ્યસભામાં બહુમતી મેળવવા માટે ભાજપને હવે ફક્ત 31 બેઠકોની જરૂર હતી. એકવાર રાજ્યસભામાં ભાજપની બહુમતી થઇ જાય પછી ભાજપ પોતાના કાર્યક્રમનો અમલ વિના વિરોધે કરી શકશે.

કુલ 243ની સભ્યોની રાજ્યસભામાં બહુમતી માટે 123 સભ્યો જોઇએ છે. ભાજપના એનડીએના અન્ય સાથીઓની ગણતરી કરવામાં આવે તો ભાજપ પાસે અત્યારે 110 સભ્યો છે. કર્ણાટકમાં ભાજપના સાંસદ અશોક ગસ્તીના અકાળ અવસાનથી એ બેઠક ખાલી થઇ હતી. એની ચૂંટણી પહેલી ડિસેંબરે થવાની છે. એમાં ભાજપની જીત નક્કી છે.

એક સમયે રાજ્યસભામાં કોંગ્રેસની બે તૃતિયાંશ બહુમતી રહેતી હતી, એટલે ભાજપ કોઇ નક્કર નીતિનો અમલ કરવાની સ્થિતિમાં નહોતો. આજે કોંગ્રેસ મૃતપ્રાય બની ગઇ હોય એવી છાપ પડી રહી હતી. સોમવારે જાહેર થયેલાં પરિણામો મુજબ ઉત્તર પ્રદેશમાં આઠ અને ઉત્તરાખંડમાં એક એમ નવ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી નીવડ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા દરેકને એક એક બેઠક મળી હતી.

રાજ્યસભામાં અત્યારે કોંગ્રેસની 40 બેઠકો છે. 25મી નવેંબરે પી એલ પુનિયા અને અભિનેતામાંથી રાજકીય નેતા બનેલા રાજ બબ્બરની બેઠકની મુદત પૂરી થાય છે. એટલે કોંગ્રેસની બેઠકો ઘટીને 38 થઇ જશે. ઉત્તર પ્રદેશથી ભાજપના જે સભ્યો જીત્યા એમાં કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંઘ પુરી, નીરજ શેખ, અરુણ સિંઘ, ગીતા શાક્ય, હરિદ્વાર દૂબે, વ્રજલાલ, બીએલ શર્મા અને સીમા દ્વિવેદીનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાં ભાજપના ઉમેદવાર નરેશ બંસલ બિનહરીફ ચૂંટાયા હતા.