વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બર 2020ના રોજ નવી દિલ્હીમાંથી હજીરા અને ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું રવિવારે વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સુરતના હજીરા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રધાન મનસુખ માંડવીયા હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં દરિયાઇ માર્ગ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે.

મોદીએ જણાવ્યું હતું કે, એક પ્રોજેક્ટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેમ વધે છે. અને સાથે સાથે ઈઝ ઓફ વિલિંગ પણ વઘે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
રો પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. વડાપ્રધાને હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કર્યું હતું. આ રો પેક્સ સર્વિસથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ , શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે. સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.