મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીની શોધ-સંશોધન અને શ્રેષ્ઠ સમયાનુકુલ શિક્ષા દીક્ષા દ્વારા સ્કિલ્ડ-કુશળ યુવા શક્તિના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને બેસ્ટ ચોઇસ ઓફ ઈન્વેસ્ટમેન્ટ છે ત્યારે રાજ્યની યુવા શક્તિ શિક્ષણના આયુધથી સજ્જ થઈ વિશ્વની બરોબરી કરી શકે તેવા યુવાનો તૈયાર થાય તે દિશામાં પ્રયત્નો આ સરકારે કર્યા છે.
રૂપાણી સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહના અધ્યક્ષસ્થાનેથી વિદ્યાર્થીઓને સંબોધન કરી રહ્યા હતા.
મુખ્યપ્રધાને પ્રથમ પદવીદાન સમારોહમાં પદવી દીક્ષા પ્રાપ્ત કરી સમાજમાં પદાર્પણ કરવા જઈ રહેલા યુવા છાત્રોને રાષ્ટ્રનિર્માણ અને સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષા દીક્ષાનો સમુચિત ઉપયોગ કરવાની શીખ આપી હતી. વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડતર સાથે સમાજ પ્રત્યેનું ઉતરદાયિત્વ ગરીબ, વંચિતનું કલ્યાણ પણ નિભાવે તે આવશ્યક છે. ગુજરાત પાસે તો શ્રેષ્ઠ શિક્ષાનો પ્રાચીન વારસો છે. વલભી જેવા વિદ્યાધામોની ભવ્યતા ફરી પ્રસ્થાપિત થાય અને વિશ્વના વિદ્યાર્થીઓ પણ ગુજરાતમાં અભ્યાસ માટે આવે એવી સ્થિતિ સર્જવી છે.

ગુજરાતમાં શિક્ષણના અનેકવિધ નવતર આયામો અને સેક્ટરલ યુનિવર્સિટીની સુવિધા આપણે ઊભી કરી છે. તેથી હવે ગુજરાતનો વિદ્યાર્થી અન્ય રાજ્યોમાં અભ્યાસ માટે જવાને બદલે ઘરઆંગણે જ ઉચ્ચ અભ્યાસ-શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટી હતી રાજ્ય નો યુવાન શિક્ષણ ની મર્યાદિત તકો થી બાપડો બિચારો રહી ગયેલો. આ સરકાર ના શિક્ષણ પ્રત્યેના સુદ્રઢ આયોજન થી હવે 77 જેટલી યુનિવર્સિટીઓ શિક્ષણ આપતી થઈ છે. અનેકવિધ યુનિવર્સિટી કાર્યરત કરી છે. તેમણે ફોરેન્સિક, સાયન્સ, મરીન, પેટ્રોલિયમ, રક્ષાશક્તિ, રેલવે, ટ્રાયબલ જેવી વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત અને દેશભરના યુવાઓ ઉચ્ચ શિક્ષા દીક્ષા મેળવી જોબ ગીવર બની રહ્યા છે તેનો આનંદ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો. રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરી ભારતમાતાને જગતજનની બનાવવા જ્ઞાનયુગની અધિષ્ઠાતા બનાવવા યુવાનોને આહવાન કર્યું હતું. નિર્માણો કે પાવન યુગ મેં ચરિત્ર નિર્માણ ન ભૂલે નો મંત્ર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ એ દીક્ષા-ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓને આપતા તેમના વર્તન, વાણી, વ્યવહાર, આચરણથી રાષ્ટ્રનું નામ, રાજ્યનું નામ ઉજ્જવળ થાય તેવા કાર્યોની પ્રેરણા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને કહ્યું કે, પ્રાચીન ગુરુકુળ પરંપરા અને ઋષિમુનીઓના આશ્રમમાં જેમ રાજકુમારો, અન્ય યુવાનો શિક્ષા-દીક્ષા મેળવતા અને સમાજનું શ્રેય કરતાં તેમ તેમણે પણ હવે સૌ સુખી તો સુખી આપણેના ભાવથી સહાયમંદોની મદદ-સહાયથી શિક્ષણ સંસ્કાર જાળવવાના છે. મુખ્યપ્રધાને ઉત્તર ગુજરાતમાં આ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી શિક્ષણ સેવાની જે જ્યોત પ્રગટાવી રહી છે તેને પ્રોત્સાહિત કરતાં મેડિકલ કોલેજ માટે પણ આહ્નવાન કર્યું હતું.

તેમણે કહ્યું કે, એક સમયે આખા રાજ્યમાં માત્ર ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં બધી કોલેજો શિક્ષણ સેવા આપતી હતી. આજે માત્ર ઉત્તર ગુજરાતમાં જ ચાર યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ગોકુલ યુનિવર્સિટી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને એગ્રીકલ્ચર યુનિવર્સિટી જ્ઞાન-વિજ્ઞાનની સુવિધા પૂરી પાડે છે. આ સરકાર શિક્ષણનો વ્યાપ વિસ્તારી અદ્યતન શિક્ષણ સવલતો રાજ્યના યુવાનોને આપવા યુનિવર્સિટી શરૂ કરવાને પ્રોત્સાહન આપી રહી છે.