જામનગરમાં સોમવાર, 13 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાયા હતા અને લોકોને હોડીમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. (PTI Photo)

સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં રવિવાર, 12 સપ્ટેમ્બરની રાત્રેથી ચાલુ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. સાંબેલાધાર વરસાદને કારણે નીચાવાણા અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સૌરાષ્ટ્રની તમામ નદીઓ, નાળા અને ડેમ છલકાયા હતા. રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી કરવાના આદેશ આપ્યા હતાં. એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લગાડવામાં આવી હતી. જામનગર જિલ્લાના જુદા 6 ગામોમાંથી 43 જેટલા નાગરિકોને બે હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી લેવામાં આવ્યા હતા. 12 સપ્ટેમ્બરની રાત્રીથી જામનગરના કાલાવડમાં 10 ઇંચ, રાજકોટના લોધિકામાં 7.5 ઇંચ, રાજકોટ શહેરમાં 7 ઇંચ, ધોરાજીમાં 7 ઇંચ, કોટડાસાંગાણીમાં 4.5 ઇંચ, ગોડલમાં 4.2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ, જૂનાગઢ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જામનગરમાં 43 નાગરિકોને એરલિફ્ટ કરાયા

જામનગર જિલ્લામાં 12 સપ્ટેમ્બરની રાત્રીથી ચાલુ થયેલા અનારાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો ટાપુ બન્યા હતા. રાહત અને બચાવ માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી હતી. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂરના પાણી ઘૂસ્યાં હતાં. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ગરકાવ થતાં લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતી. બાંગા ગામમાં 9 વ્યક્તિને એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત મોડા ગામના ફસાયેલા 14 વ્યક્તિને એરલિફ્ટ કરાયા હતા.

 

જામનગરમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમને બચાવ અને રાહતની કામગીરી ચાલુ કરી હતી(PTI Photo)

સૌરાષ્ટ્રના 4 ડેમ નજીકના ગામને એલર્ટ કરાયા

સિંચાઇ વિભાગના રાજકોટ સર્કલના જણાવ્યા અનુસાર ભાદર ડેમ, આજી-1, આજી-3, ન્યારી ડેમ-2 અને ચાપરવાડી ડેમમાં મોટાપ્રમાણમાં જળપ્રવાહ આવ્યો હતો અને તેનાથી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ડેમમાં જળપ્રવાહ વધી રહ્યો હોવાથી નજીકમાં ન જવાની સલાહ અપાઈ હતી.

રાજકોટ 11 ઇંચથી પૂર જેવી સ્થિતિ

રાજકોટમાં મેઘરાજાએ રૌદ્ધ સ્વરૂપ દર્શાવ્યું હતું. 11 ઇંચથી વધુ વરસાદમાં આખું શહેર જળબંબાકાર બની ગયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતા. રાજકોટની આજી નદી ગાંડીતૂર બનતાં આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા હતા.

જૂનાગઢમાં 14 ઈંચ વરસાદ-વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો

જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં 2થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 15 ઇંચ વરસાદ વરસી ગયો હોવાના અહેવાલ હતા. ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં હતા અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્‍તારો-રસ્‍તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો.

રાજ્યમાં ભાદરવો ભરપૂર

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા હતા. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર 2021 સુધીમાં સિઝનનો સરેરાશ 61.4 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં શનિવાર સુધીના છેલ્લાં દસ દિવસમાં સરેરાશ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. 12 સપ્ટેમ્બર સુધી કચ્છમાં સિઝનનો 64.5 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.8 ટકા, દક્ષિણ ગુજરાતમાં 65.5 ટકા વરસાદ નોંધાયો હતો.