‘’ભક્તિને માત્ર વ્યવહાર તરીકે નહીં પરંતુ એક પરિવર્તનશીલ આધ્યાત્મિક જીવનશૈલી તરીકે અપનાવવી જોઇએ. ભક્તિ એ જવાબદારી નથી – તે અર્પણ છે, પ્રેમ છે, શરણાગતિ છે. તે પરમાત્મા સાથે રહેવાનું મૌન છે, માંગણીઓ કે ભય વિના – ફક્ત હાજરી છે” એમ નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં ભક્તોથી છલકાઇ રહેલા બાયરન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ જણાવ્યું હતું.
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) યુકે દ્વારા પ્રબુદ્ધ અને વૈશ્વિક સ્તરે આદરણીય આધ્યાત્મિક નેતા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના પ્રવચન અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન તા. ૨૦ અને ૨૧ જૂનના રોજ બે દિવસ માટે હેરોના બાયરન હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે તા. 20ના રોજ ‘એડ સોલ્ટ ટૂ યોર ડીવોશન’ અને બીજા દિવસે તા. 21ના રોજ ‘એડ સુગર ઇન રિલેશનશીપ્સ’ વિષય પર પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીને ઊંડે સુધી પ્રભાવિત કરનાર 19મી સદીના આધ્યાત્મિક દિવ્યગુરુ શ્રીમદ્ રાજચંદ્રના વારસા પર પ્રતિબિંબ પાડતા, ગુરુદેવશ્રીએ શ્રોતાઓને સત્ય, કરુણા અને આંતરિક પરિવર્તનની શાશ્વત શક્તિની યાદ અપાવી હતી.
ગુરુદેવશ્રીએ ભક્તિને આત્મા માટે પોષણ, ભાવનાત્મક સંતુલન, માનસિક સ્પષ્ટતા અને અંતે, આંતરિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના સાધન તરીકે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ‘’આંતરિક શાંતિ વિચારોથી છટકી જવાથી નહીં, પરંતુ જાગૃતિ દ્વારા તેનાથી આગળ વધીને કેળવાય છે. નિર્ણય અને પરિણામોને નિયંત્રિત કરવાની ઇચ્છાને છોડી દેવું તે સાચી ભક્તિ માટે જરૂરી છે. બેટરી ચાર્જ કરવાની જેમ ભક્તિ, આત્માને સશક્ત બનાવે છે – સંબંધોથી લઈને સ્વાસ્થ્ય સુધી, જીવનના તમામ પાસાઓને ટેકો આપે છે. અપેક્ષાઓથી મુક્તિ દુઃખથી મુક્તિ તરફ દોરી જાય છે.’’
તેમણે કહ્યું હતું કે “તમારા દિવસની શરૂઆત એક જ વિચારથી કરો કે ‘મારું મન શુદ્ધ રહે, મારા શબ્દો દયાળુ રહે, અને મારું હૃદય કૃતજ્ઞ રહે. તે એક પ્રાર્થના અંદરની દિવ્યતાને જાગૃત કરવા માટે પૂરતી છે.”
આ પ્રસંગે હેરોના મેયર, કાઉન્સિલર અંજના પટેલ, હર્ટ્સમીયરના મેયર, કાઉન્સિલર આલ્ફા બર્ડ કોલિન્સ, હેરો કાઉન્સિલના નેતા, કાઉન્સિલર પોલ ઓસ્બોર્ન સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SRMD UK ના પ્રમુખ મયુરભાઈ મહેતાએ બધા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ટીમ SRMD અને સ્વયંસેવકોએ કાર્યક્રમનું સરળ અને સુવ્યવસ્થિત રીતે સંચાલન સુનિશ્ચિત કર્યું હતું.
ગુરુદેવશ્રી રાકેશજી દ્વારા “ગરવી ગુજરાત”નો ખાસ ઉલ્લેખ કરાયો
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ કહ્યું હતું કે “ગરવી ગુજરાત સમુદાયને જોડવામાં પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. તે જૂની અને નવી પેઢીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે કાર્ય કરે છે – ભાષાની શક્તિ દ્વારા મૂલ્યો, નૈતિકતા અને સંસ્કૃતિનું સ્થાનાંતરણ કરે છે. ફક્ત યુકેમાં જ નહીં, મેં મારી યુએસ મુલાકાત દરમિયાન જોયું છે કે તે ત્યાં પણ વ્યાપકપણે વાંચવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે.”
