(ANI Photo)

ટ્રાફિક નિયમોના ભંગ બદલ ભારતના લોકોએ 2021માં રૂ1,899 કરોડનો જંગી દંડ ભર્યો છે. ગયા વર્ષે દેશભરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 1.98 કરોડ ટ્રાફિક ચલન જારી કરવામાં આવ્યા હતા, એવી કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકારીએ ગુરુવારે સંસદમાં લેખિત જવાબમાં માહિતી આપી હતી.
ટ્રાફિક નિયમોના ભંગમાં દિલ્હી મોખરે રહ્યું છે. કુલ 1.98 કરોડમાંથી આશરે 35 ટકા એકલા દિલ્હીમાં જારી થયા હતા. ગડકરીએ જારી કરેલા ડેટા મુજબ દિલ્હીમાં ગયા વર્ષે દેશમાં સૌથી વધુ આશરે 71.89 લાખ ચલન જારી કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોના ભંગમાં તમિલનાડુ બીજા સ્થાને રહ્યું હતું, જ્યારે કેરળ ત્રીજા ક્રમે રહ્યું હતું. તમિલનાડુમાં આશરે 36.26 લાખ અને કેરળમાં 17.41 લાખ ચલન જારી કરવામાં આવ્યા હતા.

સરકારના કેન્દ્રીય ડેટાબેઝ મુજબ દેશભરમાં કુલ 1.98 કરોડ ચલનમાંથી આશરે બે લાખ કેસ રોડ રેજ અને બેફામ ડ્રાઇવિંગ સંબંધિત હતા.ચાલુ વર્ષ માટે વાહનચાલકો માટે સારું રહ્યું નથી. સત્તાવાળાઓએ પહેલી જાન્યુઆરીથી 15 માર્ચ 2022 સુધીમાં રૂ.417 કરોડનો દંડ ફટકાર્યો હતો. આ સમયગાળામાં કુલ 40 લાખ ચલન જારી કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષના આ આંકડામાં હજુ વધારો થવાની શક્યતા છે.

ગડકરીએ જણાવ્યું હતું કે નવા મોટર વ્હિકલ્સ ધારાના અમલ પહેલા 2017 અને 2019માં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કેસ આશરે 1.38 કરોડ નોંધાયા હતા. મોટર વ્હિકલ (સુધારા) ધારા, 2019 અમલ પછી ટ્રાફિક નિયમોના ભંગના કેસો આશરે 4.85 કરોડ રહ્યાં છે.

આ નવા બિલને ઓગસ્ટ 2019માં સંસદની બહાલી મળી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 9 ઓગસ્ટ 2019ના રોજ આ બિલને મંજૂરી આપી હતી. નવા ધારાનો હેતુ રોડ સુરક્ષામાં વધારો કરવાનો અને ટ્રાફિક નિયમોને આકરા બનાવવાનો છે. તેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને ટ્રાફિક ઉલ્લંઘનના નિયમોને વધુ આકરા બનાવવામાં આવ્યા છે.

ગડકરીએ જણાવ્યું હતું કે તેમનું મંત્રાલયે શિક્ષણ, એન્જિનિયરિંગ (રોડ અને વ્હિકલ બંને), નિયમ અમલીકરણ અને ઇમર્જન્સી કેરના આધારે રોડ સુરક્ષાના મુદ્દાનો ઉકેલ લાવવા બહુપક્ષીય વ્યૂહરચના ઘડી છે.