અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈનું સમર્થન કરવા અમેરિકા ભારતને વેન્ટિલેટર આપશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત બંને ‘અદૃશ્ય શત્રુ’ને માત આપવા વેક્સિન વિકસાવવાની દિશામાં એકબીજાની મદદ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્ર પણ ગણાવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મને આ જાહેરાત કરતા ગર્વ થઈ રહ્યો છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતમાં પોતાના મિત્રોને વેન્ટિલેટર દાન કરશે.

અમે આ મહામારી દરમિયાન ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સિન બનાવવામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને અદૃશ્ય શત્રુને હરાવીશું.’ તેમણે વડાપ્રધાન મોદીને પોતાના બહુ સારા મિત્ર ગણાવ્યા હતા. ટ્રમ્પે યુદ્ધના ધોરણે કોરોના વાયરસ માટેની એક રસી તૈયાર કરવા એક ટીમની જાહેરાત કરી હતી અને અમેરિકા આ વર્ષના અંત સુધીમાં વેક્સિનના અમુક કરોડ ડોઝ આપવા સક્ષમ હશે તેમ જણાવ્યું હતું.

ટ્રમ્પે જણાવ્યું કે, ‘ઓપરેશન વાર્પ સ્પીડ’ 14 વેક્સિન ઉમેદવારોનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટ માટે 10 બિલિયન (100 કરોડ ડોલર) અમેરિકી ડોલરનું રોકાણ કરવામાં આવશે. ફોર સ્ટાર આર્મી જનરલ ગુસ્તાવે પેરના અને પૂર્વ ગ્લૈક્સોસ્મિથક્કલ વેક્સિન પ્રમુખ ડો. મોનસેફ સલોઈની આગેવાનીમાં આ પ્રોજેક્ટનું સંચાલન થશે.

ટ્ર્મ્પે પોતે તાજેતરમાં જ કોરોના વાયરસ વેક્સિનની ક્લીનિકલ ટ્રાયલના પ્રાથમિક ડેટા જોયા હોવાનું અને તેનાથી વધુ આત્મવિશ્વાસ અનુભવાયો હોવાનું જણાવ્યું હતું. તેમણે 2020ના અંત સુધીમાં વેક્સિનના અમુક કરોડ ડોઝ બનાવવામાં સક્ષમ થવાનો અને સર્વશ્રેષ્ઠ કરી બતાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગત 10 મેના રોજ અમેરિકામાં તૈનાત ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂએ બંને દેશો કોવિડ-19ની જાણકારી માટે સતત એકબીજાના સંપર્કમાં હોવાની માહિતી આપી હતી. સાથે જ ત્રણ સંભવિત વેક્સિન પર બંને દેશની કંપનીઓ એકસાથે કામ કરી રહી છે તેમ પણ જણાવ્યું હતું.