(ANI Photo/Sansad TV)

સંસદની સુરક્ષામાં ચૂકના મામલે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અસાધારણ ટકરાવ સર્જાયો છે. સંસદની કાર્યવાહી ખોરવી નાંખવા માટે મંગળવારે વધુ 49 સાંસદોને ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. સોમવારે એક જ દિવસમાં 79 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આની સાથે સસ્પેન્ડ થયેલા વિપક્ષના સભ્યોની સંખ્યા વધીને 141ની રેકોર્ડ સ્તરે પહોંચી હતી.

મંગળવારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા, કોંગ્રેસના નેતા શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ, NCPના સુપ્રિયા સુલે અને સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવને સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવા બદલ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સસ્પેન્ડ કર્યાં હતા.

સોમવારે સંસદની કાર્યવાહી ખોરવી નાંખવા માટે વિપક્ષના વધુ 78 સાંસદોને લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયાં હતાં. વિપક્ષ સંસદની સુરક્ષાના મુદ્દે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માગણી કરી રહ્યો છે. ગયા સપ્તાહે 14 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. આ સત્રમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોની કુલ સંખ્યા 92 થઈ ગઈ હતી.

લોકસભામાં 30 સાંસદોને સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને વિશેષાધિકાર સમિતિ તેમના આચરણ અંગે રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી ત્રણને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાજ્યસભાની વાત કરીએ તો 35 સભ્યોને બાકીના સત્ર માટે અને 11 સભ્યોને  વિશેષાધિકાર પેનલના અહેવાલ સુધી સસ્પેન્ડ કરાયા હતા.

લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ગૃહમાં પાર્ટીના ઉપનેતા ગૌરવ ગોગોઈનો સમાવેશ થાય છે. તૃણમૂલ સાંસદો કલ્યાણ બેનર્જી, કાકોલી ઘોષ દસ્તીદાર, સૌગતા રે અને સતાબ્દી રોય અને ડીએમકેના સભ્યો એ રાજા અને દયાનિધિ મારન પણ આ યાદીમાં છે. રાજ્યસભામાં કોંગ્રેસના જયરામ રમેશ અને રણદીપ સિંહ સુરજેવાલા, ડીએમકેના કનિમોઝી અને આરજેડીના મનોજ કુમાર ઝાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ મોદી સરકાર પર વિરોધ પક્ષ વગરના સંસદમાં મહત્વના ઠરાવના મુસદાને દબાવી દેવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું હતું કે, “મારી 19 વર્ષની સંસદસભ્ય તરીકેની કારકિર્દીમાં પ્રથમ વખત હું આવી ઘટનાનો ભોગ બન્યો છું. ભારતમાં આ લોકશાહીની હત્યા છે. તાનાશાહી કા દૂસરા નામ મોદીશાહી હૈ.”

LEAVE A REPLY

three × three =