યુક્રેન પર આક્રમણના 12માં દિવસે રશિયાએ યુક્રેનના ચાર મોટા શહેરો રાજધાની કિવ, સુમી, પોર્ટ સિટી મારિયોપોલ અને ખારકીવમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. રશિયાએ યુક્રેનમાંથી સામાન્ય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે આ પગલું ભર્યું છે.

રશિયાની એક ન્યુઝ એજન્સીએ રશિયન સંરક્ષણ વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે રશિયાના લશ્કરી દળો સોમવારે મોસ્કોના સમય અનુસાર 10 વાગ્યે રાજધાની કિવ સહિત યુક્રેનના ઘણા શહેરોમાં ફાયરિંગ અટકાવી દેશે અને આ શહેરોમાં ફસાયેલા સમાન્ય નાગરિકો માટે હ્યુમન કોરિડોર ખોલશે. ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોન દ્વારા યુક્રેનના કેટલાક શહેરોમાં હાલની સ્થિતિને જોતા પ્રેસિડેન્ટ પુતિનને ફોન પર કરવામા આવેલ વિનંતીને ધ્યાને રાખી માનવતાવાદી કોરિડોર ખોલવામાં આવી રહ્યો છે.

આ સાથે રશિયન સરકાર આધિન RIA ન્યૂઝ એજન્સી દ્વારા પ્રકાશિત નકશા અનુસાર કીવમાંથી લોકોને બહાર નીકળવા માટે તૈયાર કરવામાં આવેલ કોરિડોર બેલારુસ તરફ દોરી જશે, જ્યારે ખારકીવના નાગરિકો પાસે માત્ર રશિયા તરફ જતો કોરિડોર રહેશે. મારિયુપોલ અને સુમીના કોરિડોર અન્ય યુક્રેનિયન શહેરો અને રશિયા એમ બે તરફ દોરી જાય છે. આ સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી કે જે લોકો કીવ છોડવા માંગે છે તેઓને પણ રશિયામાં એરલિફ્ટ કરી શકશે, તેમજ મંત્રાલયે જણાવ્યું હતું કે, તે ઈવેક્યુશનની સમગ્ર પર કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરશે.