ગુજરાત સરકારની ‘વતનપ્રેમ યોજના’ અંતર્ગત રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાના હેતુસર ડિસેમ્બર-ર૦રર સુધીમાં રૂ. ૧ હજાર કરોડના કામો હાથ ધરવાની નેમ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ ‘વતનપ્રેમ યોજના’ અન્વયે ગુજરાતમાં પોતાની પસંદગીનું ગામ, પોતાની પસંદગીનું કામ, પોતાની પસંદગીની એજન્સી દ્વારા ૬૦ ટકા પોતાના દાન અને બાકીના રાજ્ય સરકારના ૪૦ ટકા અનુદાનથી કરાવી શકે છે. મુખ્યપ્રધાને ‘વતનપ્રેમ યોજના’ સોસાયટીની શનિવારે ગવર્નિંગ બોડીની ગાંધીનગરમાં મળેલી પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી આ યોજનાના સુચારૂ અમલીકરણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના ગામોમાં શાળાઓના ઓરડા નિર્માણના કામોને ‘‘વતનપ્રેમ યોજના”માં અગ્રતા આપવાનું સૂચન પણ કર્યુ હતું. તેમણે આવી જરૂરિયાતવાળી શાળાઓના ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓના દાન અને સરકારના સંયુકત અનુદાનથી તૈયાર કરવા જણાવ્યું હતું. આ વતનપ્રેમ યોજનામાં જે વિવિધ કામોનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં શાળાના ઓરડાઓ અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, મઘ્યાહન ભોજનનું રસોડું, સ્ટોર રૂમ, પુસ્તકાલય, રમત-ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટીવી કેમેરા સર્વેલેન્સ સિસ્ટમ, સ્મશાન ગૃહ, વોટર રિસાયકલિંગ વ્યવસ્થા તથા ગટર, એસ.ટી.પી વગેરે, તળાવ બ્યુટીફિક્શન, એસ.ટી સ્ટેન્ડ, સોલાર એનર્જીથી સ્ટ્રીટ લાઈટ અને પાણીના ટ્યુબ વેલ કૂવાની પાણીની ટાંકીની મોટર ચલાવવાના કામો વગેરે કામો હાથ ધરી શકાશે. ‘વતનપ્રેમ યોજના’ના આ પાસાંઓમાં યોજનાના અસરકારક અમલીકરણ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટની રચના, દાતાઓ સરળતાથી ઓનલાઇન દાન આપી શકે તે માટે રાજ્યકક્ષાએ અલાયદા બેંક એકાઉન્ટ અને પોર્ટલના માધ્યમથી પેમેન્ટની વ્યવસ્થા, પૂર્ણ થયેલા કામના સ્થળે દાતા પ્રત્યે આભાર પ્રગટ કરતી તેમના નામની તકતી મૂકવી ઉપરાંત દાતા દ્વારા સૂચવાયેલા ગામમાં નક્કી થયેલા કામ અને ટાઇપ ડિઝાઇન માટે અલાયદા વેબપોર્ટલની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એટલું જ નહિ, વી.સી.ઇ.ની વતનપ્રેમ પ્રેરક તરીકેની પસંદગી અને તેના દ્વારા દાતાને સમયાંતરે કામગીરીની જાણકારી આપવાની વ્યવસ્થા તેમજ યોજના સંબંધી પ્રશ્નોના નિવારણ અને માહિતી આદાન-પ્રદાન માટે અલાયદા 24×7 કોલ સેન્ટરની વ્યવસ્થા પણ આ યોજનાના મુખ્ય પાસાંઓમાં સમાવી લેવામાં આવી છે.