બંધારણના આમુખમાંથી ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દોને દૂર કરવાની વિચારણા કરવી જોઇએ તેવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેની માગણીના મુદ્દે સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલુ થયું હતું.
દત્તાત્રેય હોસબલેની માગણીને બે કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચોહાણ અને ડૉ. જીતેન્દ્ર સિંહે સમર્થન કર્યું હતું. જોકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આરએસએસ, ભાજપ બંધારણની જગ્યાએ ‘મનુસ્મૃતિ’ ઇચ્છે છે. તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ગરીબોના અધિકારો છીનવી લેવા અને તેમને ફરીથી ગુલામ બનાવવાનો પ્રયાસ કરે છે. તેમની પાસેથી બંધારણ જેવું શક્તિશાળી હથિયાર છીનવી લેવું એ તેમનો વાસ્તવિક એજન્ડા છે
જિતેન્દ્ર સિંહે જમ્મુમાં પત્રકારોને જણાવ્યું કે મને નથી લાગતું કે આ અંગે બે મંતવ્યો છે. દત્તાત્રેયજીએ યોગ્ય જ કહ્યું છે કે ‘ધર્મનિરપેક્ષ’ અને ‘સમાજવાદી’ શબ્દો 42મા સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યા હતાં અને તે ડૉ. બીઆર આંબેડકરના મૂળ વિઝનનો હિસ્સો ન હતાં. ડૉ. બાબા સાહેબ આંબેડકરે વિશ્વના શ્રેષ્ઠ પૈકીનું એક બંધારણ બનાવ્યું છે. જો આ શબ્દો તેમના વિચારનો ભાગ ન હોત તો કોઈએ પૂછવું જોઈએ કે કયા પ્રકારની વિચારસરણીએ આ શબ્દોનો પાછળથી સમાવેશ કરાયો હતો.
બંધારણના આમુખમાંથી આ શબ્દો દૂર કરવાની હિમાયત કરતી દત્તાત્રેય હોસાબલેની ટિપ્પણી પરના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે કોઈપણ યોગ્ય વિચારસરણી ધરાવતો નાગરિક તેનું સમર્થન કરશે, કારણ કે બધા જાણે છે કે આ શબ્દો મૂળ બંધારણનો ભાગ ન હતાં. તે ભાજપ વિરુદ્ધ બિન-ભાજપ નથી, તે લોકશાહી મૂલ્યોને જાળવવા, બંધારણીય મૂલ્યોને જાળવવા વિશે છે.
કોંગ્રેસના નેતાઓ પર ગર્ભિત પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે જે લોકો બંધારણનુ પુસ્તકને લઈને ફરી રહ્યાં છે તેઓ ખરેખર બંધારણના સૌથી મોટા ઉલ્લંઘન કરનારા હોય છે.
