Photo by STRDEL/AFP via Getty Images)

બોલીવૂડની ફિલ્મોના લેખક તરીકે સલીમ-જાવેદનું નામ ખૂબ જ જાણીતું છે. અમિતાભ બચ્ચન જાવેદ અખ્તર અને સલીમ ખાન દ્વારા લિખિત ફિલ્મ ‘ઝંજીરથી’ સ્ટાર બન્યા હતા. પછી તેમણે અમિતાભ બચ્ચન માટે ‘શોલે’, ‘દીવાર’, ‘ડોન’ જેવી ફિલ્મો લખી જે ખૂબ જ હિટ રહી હતી. જોકે, જ્યારે આ લેખકની જોડી તૂટી ગઈ, ત્યારે જાવેદ અખ્તરે 10 વર્ષ સુધી અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું નહોતું. આ અંગે ખુદ જાવેદ અખ્તરે તાજેતરમાં ઇન્ટરવ્યૂમાં આ બાબતની સ્પષ્ટતા કરી હતી.

આ ઇન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું હતું કે, શું અમિતાભ બચ્ચન ખરેખર ‘મિસ્ટર ઇન્ડિયા’માં મુખ્ય ભૂમિકા ભજવવાના હતા. આ અંગે તેમણે કહ્યું કે- પ્રમોદ ચક્રવર્તી અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મ બનાવી રહ્યા હતા, જે કદાચ પૂર્ણ થઈ નથી. તેમાં અમિતાભ હતા, ત્યારે તેઓ યુરોપમાં શૂટિંગ કરી રહ્યા હતા. તેમને એક ફિલ્મનું મુહૂર્ત કરવાનું હતું. તો કોઈ કારણોસર તેમણે પોતાનો અવાજ રેકોર્ડ કરીને મોકલ્યો, જે અવાજ મુહૂર્ત દરમિયાન પ્રસારિત કરવામાં આવ્યો હતો. આનાથી મને ખ્યાલ આવ્યો કે જો તેમનો અવાજ આટલો પ્રખ્યાત છે, તો આપણે તેમની સાથે એક અદ્રશ્ય વ્યક્તિની ફિલ્મ કેમ ન બનાવી શકીએ. આવી સ્થિતિમાં, તેમને આપણને તારીખો આપવાની પણ જરૂર નથી. આ રીતે મને (મિસ્ટર ઈન્ડિયા)નો વિચાર આવ્યો હતો.

આ ફિલ્મ અંગે મેં વિચાર્યું કે બાળકોને પણ તેમાં સામેલ કરવા જોઈએ. કારણ કે બાળકો કોઈ અદૃશ્ય વ્યક્તિ તરફ આકર્ષિત થશે. આ પછી અમે વધુ કામ કર્યું નહીં અને અમે (સલીમ-જાવેદ) અલગ થઈ ગયા. જ્યારે અમે અલગ થયા ત્યારે વાતાવરણ બદલાયું. ઘણા લોકો માનતા હતા કે હું અમિતાભ બચ્ચન સાથે ગાઢ સંબંધ ધરાવું છું, તેથી હું તેમના કારણે અલગ થયો છું. ત્યારથી મેં આવનારા 10 વર્ષ સુધી અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું નહીં. મને ઘણી ઓફર મળી હતી, પરંતુ મેં તે સ્વીકારી નહોતી. કારણ કે હું એવું લેબલ ઇચ્છતો ન હતો કે મેં કોઈની મદદથી સલીમ સાહેબ સાથેનો મારો સંબંધ તોડી નાખ્યો.

સલીમ-જાવેદ ઇચ્છતા હતા કે, અમિતાભ બચ્ચન ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં મુખ્ય ભૂમિકા ભજવે, પરંતુ તેમણે ના કહી હતી. અમિતાભની ના થી સલીમ-જાવેદ ખૂબ નારાજ થયા હતા. આથી જાવેદ અખ્તરે નિર્ણય લીધો કે તેઓ હવે અમિતાભ સાથે કામ નહીં કરે, જોકે સલીમ ખાન આ નિર્ણય સાથે સહમત નહોતા.

થોડા દિવસો પછી, જાવેદ અખ્તર અમિતાભ બચ્ચનના ઘરે હોળીની પાર્ટીમાં પહોંચ્યા અને તેમણે કહ્યું કે- હવે તેમની જોડી અમિતાભ સાથે ક્યારેય કામ કરશે નહીં. સલીમ ખાનને આ નિવેદન ગમ્યું નહીં અને આ જોડીના સંબંધોમાં તીરાડ ઊભી થઇ અને તેમણે ફરી ક્યારેય સાથે કામ કર્યું નહીં. આ જોડી અંતે 1982માં તૂટી, જોકે તેમની મિત્રતા આજે પણ અકબંધ છે. સલીમ-જાવેદના અલગ થવાની સ્ટોરી પત્રકાર અનિતા પાધ્યેએ તેમના મરાઠી પુસ્તક ‘યહી રંગ યહી રૂપ’માં લખી છે.

અમિતાભના ઇનકાર પછી, બોની કપૂરને મિસ્ટર ઇન્ડિયાની કહાની પસંદ આવી હતી અને તેમણે આ ફિલ્મ બનાવી હતી, જેમાં શ્રીદેવી અને અનિલ કપૂર મુખ્ય રોલમાં હતા. અંતે આ ફિલ્મ સુપરહિટ બની અને અનિલ કપૂરના સ્ટારડમમાં વધારો થયો હતો.

LEAVE A REPLY