
ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચેમ્પિયન બન્યા પછી બુધવારે તેની ઉજવણી કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગદોડ મચતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતાં.
IPL 2025 ટાઇટલ જીતની ઉજવણી કરવા માટે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠા થયેલા ક્રિકેટ ચાહકોમાં ભારે ભીડને કારણે નાસભાગ મચી હતી અને તેમાં ઘણા કચડાયા હતા. આ દુર્ઘટના સ્ટેડિયમના દરવાજા પર બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
આઈપીએલ 2025ની ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમ અમદાવાદથી બેંગલુરૂ ઉજવણી કરવા માટે પહોંચી હતી. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમનું સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ભાગ લેવા મોટાપાયે ભીડ ઉમટી પડી હતી.
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે ભીડ બેકાબૂ” બની હતી. હું ભીડ માટે માફી માંગુ છું. અમે 5,000થી વધુ કર્મચારીઓની વ્યવસ્થા કરી છે. આ એક યુવાન ઉત્સાહી ભીડ હતી અને અમે તેમના પર લાઠીનો ઉપયોગ કરી શકીએ નહીં.
લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરા-તફરી મચી જવા પામી હતી. હજારો ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને BCCI, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. તેમણે કહ્યું કે, ‘નાસભાગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ થશે. કમિટી 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ દુર્ઘટના નહોતી બનવી જોઈતી. જશ્ન માટે 35 હજારની કેપેસિટી વાળા સ્ટેડિયમમાં અંદાજિત 3 લાખ લોકો ઉમટી પડ્યા. નાસભાગમાં બચાવ ન કરી શકાયો.’
