class 9 to 12 27 hours of education per week is compulsory
(istockphoto)

માર્ચ 2020માં ચાલુ થયેલી કોરોના મહામારીએ લોકોને આર્થિક ફટકો પડ્યો છે અને તેનાથી બાળકોના શિક્ષણને માંઠી અસર થઈ છે. મહામારીના પ્રારંભ પછીથી ગુજરાતમાં આશરે 5 લાખ વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલ અથવા અર્ધ-સરકારી સ્કૂલમાં એડમિશન અપાવાયું હતું.

રાજ્યના શિક્ષણ વિભાગના ડેટા પ્રમાણે, 2020-21માં 2.82 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી કે અર્ધ-સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે. કોરોનાની ઘાતક બીજી લહેર બાદમાં 2021-22ના વર્ષમાં ઓગસ્ટ મહિના સુધીમાં વધુ 2.27 લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે.

નિષ્ણાતોના મતે, ખાનગીમાંથી સરકારી શાળામાં એડમિશન લેવાનું કારણ મહામારીના કારણે સર્જાયેલી આર્થિક તંગી છે. મહામારીના લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણાં લોકો જીવ અને રોજગાર ગુમાવ્યો છે. આ સમયમાં વાલીઓના મોટા વર્ગને ખાનગી સ્કૂલોમાં પોતાના સંતાનને ભણાવવા માટે આપવી પડતી 15,000થી 30,000 રૂપિયાની વાર્ષિક ફી બોજરૂપ લાગવા માંડી. વળી, છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલોમાં કલાસરૂમ શિક્ષણ પણ બંધ છે. અર્ધ-સરકારી સ્કૂલોમાં વાર્ષિક ફી ઘટીને 600-900 રૂપિયા થઈ જાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગામડાં અને નાના શહેરોમાં આવેલી ખાનગી સ્કૂલોને સૌથી વધુ ફટકો પડ્યો છે. શહેરો, ગામડાં અને ટાઉનમાં રહેતા પરિવારોની આવક ઘટી છે. પોતાના સંતાનનું એડમિશન રદ્દ કરાવતી વખતે વાલીઓ આર્થિક તંગીનું જ કારણ આપે છે.

ઘણાં પરિવારોમાંથી ગુજરાન ચલાવતા વ્યક્તિનું જ મોત થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના અધિકારીએ જણાવ્યું, શહેરના 8500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ સ્કૂલ છોડીને AMCની સ્કૂલોમાં એડમિશન લીધું છે. વિના મૂલ્યે શિક્ષણ, સુધરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોની શરૂઆત આ પરિવર્તનનું કારણ છે.