પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોના દિવસે સરકારે નાઇટ કરફ્યૂમાં છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે લોકમેળા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયા લેવામાં આવ્યો હતો.

જન્માષ્ટમીના દિવસે એટલે કે 30 ઓગસ્ટના સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં નાઇટ કરફ્યૂમાં અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કરફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે. રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.

ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.