Action Images via Reuters/Ed Sykes

લીડ્સના હેડિંગ્લીમાં રમાઈ રહેલી ભારત – ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ ચોથા દિવસના રમતમાં છેલ્લા સેશનમાં રોમાંચક તબક્કે પહોંચી હતી. ભારતે તેની બીજી ઈનિંગમાં 364 રન કર્યા હતા અને એ રીતે ઈંગ્લેન્ડ સામે એક દિવસ ઉપરાંતના સમયમાં ચોથી ઈનિંગમાં વિજય માટે 371 રન કરવાનો પડકાર ઉભો થયો છે.

ભારતના ટોપ ઓર્ડરના બેટર્સે બન્ને ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતાં પહેલી ઈનિંગમાં ત્રણ બેટર્સની સદી સાથે 471 રન કર્યા હતા. ડાબોડી ઓપનર યશસ્વી જયસ્વાલ, નવોદિત સુકાની શુભમન ગિલ અને વિકેટકીપર, ઉપસુકાની ઋષભ પંતે પહેલી ઈનિંગમાં સદી કરી હતી, તો ઈંગ્લેન્ડ તરફથી સુકાની બેન સ્ટોક્સ અને જોશ ટંગે ચાર-ચાર વિકેટ લીધી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 465 રન કર્યા હતા અને ભારતને નામની, ફક્ત છ રનની સરસાઈ મળી હતી. જો કે, ઈંગ્લેન્ડના આવા મજબૂત પ્રત્યુત્તરમાં ભારતની નબળી ફિલ્ડીંગનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો હતો, ટીમે કુલ છ કેચ ગુમાવ્યા હતા જેમાંથી ચાર તો એકલા બુમરાહની બોલિંગમાં જ પડતા મુકાયા હતા. આમાંથી ત્રણ કેચ ગુમાવવાની નામોશી યશસ્વી જયસ્વાલને નામે નોંધાઈ હતી.આટલા જીવતદાનના લા ભાર્થીઓમાં ઈંગ્લેન્ડ તરફથી સદી કરનારા ઓલી પોપ, ફક્ત એક રન માટે સદી ચૂકેલા હેરી બ્રૂક અને અડદી સદી કરનારા બેન ડકેટનો પણ સમાવેશ થાય છે. તેમછતાં, જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી શાનદાર દેખાવ કર્યો હતો.

ભારતની બીજી ઈનિંગમાં બીજા ઓપનર કે. એલ. રાહુલ અને ઋષભ પંતે સદી કરી હતી, તો ઈંગ્લેન્ડ તરફથી જોશ ટંગ અને બ્રાયડન કાર્સે 3-3 વિકેટ ઝડપી હતી. ભારત માટે બીજી ચિંતાજનક બાબત એ રહી હતી કે, બન્ને ઈનિંગમાં તેણે છેલ્લી પાંચ વિકેટ સાવ સસ્તામાં ગુમાવી હતી. પહેલી ઈનિંગમાં ભારતે ફક્ત 24 રનમાં પાછળની અડધી વિકેટો ગુમાવી હતી, તો બીજી ઈનિંગમાં તેણે 31 રનમાં છેલ્લી છ વિકેટ ગુમાવી હતી.

LEAVE A REPLY