(X/@BCCI via PTI Photo)

ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર ​​દિલીપ દોશીનું સોમવાર, 23 જૂને લંડનમાં હૃદયરોગના હુમલાથી 77 વર્ષની વયે અવસાન થયું હતું. દિલીપ દોશીના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ સમુદાયે શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું.

ભારતની વિખ્યાત સ્પિન ચોકડીની વિદાય બાદ દોશીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સ્પિનની કલાને આગળ ધપાવી હતી.1947માં રાજકોટ ખાતે જન્મેલા દિલીપ દોશીને 32 વર્ષની વયે ભારત માટે ટેસ્ટ રમવાની તક મળી હતી અને તેમણે પોતાની પહેલી જ ટેસ્ટમાં ચેપોક ખાતે ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટ ખેરવી દીઘી હતી.

દિલીપ દોશીએ ૧૯૭૯ થી ૧૯૮૩ દરમિયાન ભારત માટે ૩૩ ટેસ્ટ અને ૧૫ વનડે રમ્યા હતાં. તેમણે ટેસ્ટમાં ૧૧૪ વિકેટ અને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ૨૨ વિકેટ લીધી હતી.

દોશીના પરિવારમાં તેમની પત્ની કાલિંદી, સરે અને સૌરાષ્ટ્ર માટે રમતા પુત્ર નયન અને પુત્રી વિશાખાને વિલાપ કરતાં છોડી ગયા હતાં.

તેમણે ઓસ્ટ્રેલિયાના ભારતના પ્રવાસની પ્રથમ ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને પ્રથમ ઇનિંગમાં ૧૦૩ રનમાં છ વિકેટો અને મેચમાં ૧૬૭ રનમાં આઠ વિકેટો લીધી હતી.

તેઓ ભારતમાં સૌરાષ્ટ્ર અને બંગાળ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા હતાં  અને ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં નોટિંગહામશાયર અને વોરવિકશાયરનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું.કુલ મળીને, તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ લીધી હતી.

LEAVE A REPLY