બોલીવૂડમાં કેટલાક લોકો લગ્ન વિશે જુદા જુદા મંતવ્યો ધરાવે છે. હવે દિવ્યા દત્તાને પણ સલમાન ખાન અને સુષ્મિતા સેનની જેમ લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. દિવ્યા માને છે કે, લગ્ન કરવાના બદલે યોગ્ય સાથીદાર મળે તે વધારે જરૂરી છે. સારો જીવનસાથી મળે અને લગ્ન કરી લીધા હોય તો ઠીક છે, પરંતુ તેવું ન થાય તો પણ જીવન સારી રીતે જ ચાલી રહ્યું છે. લગ્નજીવનમાં તણાવ અને નિષ્ફળતાનો ભોગ બનવાના બદલે પોતાની જાત પર જ ધ્યાન આપવાનુ દિવ્યાને પસંદ છે.
દિવ્યા કહે છે કે, સંબંધો સાચવવા પોતાની ગરિમા ગુમાવવી પડે તો આવા સંબંધો જરા પણ સ્વીકાર્ય નથી. આવી સ્થિતિમાં પોતાની જાતને જ પ્રેમ કરવો જોઈએ. જીવનમાં ઘણાં બધા પુરુષોએ દિવ્યા પર ધ્યાન આપ્યું હતું. પુરુષો એટેન્શન આપતા હોવાનું દિવ્યાને પસંદ છે, પરંતુ મનને સ્પર્શી શકે તેની સાથે જ રિલેશનશિપ હોવા જોઈએ તેવું તે માને છે. એ વ્યક્તિ તમારો હાથ નહીં છોડે તેવું લાગવું જોઈએ. આવો અનુભવ ન થાય તો આસપાસ ઘણાં સારા મિત્રો હોય અને પોતાની જાત સાથે મજા કરવાની હોય છે.
જીવનયાત્રાને સારી રીતે માણી શકાય તેવા સાથીદાર સાથે સંબંધ રાખવાની દિવ્યાની ઈચ્છા છે, પરંતુ લગ્ન કરવાની તેની કોઈ ઈચ્છા નથી. લગ્ન નહીં કરવા છતાં તે ખુશ છે. એક મિત્ર સાથેની ચેટ અંગે વાત કરતા દિવ્યાએ જણાવ્યું હતું કે, તેને પૂછવામાં આવ્યું હતું કે, તું સુંદર, આકર્ષક અને લાગણીશીલ હોવા છતાં સિંગલ કેમ છે? જવાબમાં મેં કહ્યું હતું, ઓવરક્વોલિફાઈડ હોવાથી લગ્ન થતા નથી. જીવનને સંપૂર્ણ બનાવવા માટે બહાર નજર દોડાવવાની જરૂર નથી.
સારો પાર્ટનર મળે તો જ જીવન સાર્થક થશે તેવી માન્યતા એક જમાનામાં દિવ્યા દત્તા પણ ધરાવતી હતી.આ માન્યતા ખોટી ઠરી હતી અને તેને પગલે તેનો લગ્ન પ્રત્યેનો અભિગમ પણ બદલાયો હતો. દિવ્યા દત્તા છેલ્લે ‘છાવા’ ફિલ્મમાં જોવા મળી હતી. દિવ્યાની નવી ફિલ્મ નાસ્તિક છે, જેમાં અર્જુન રામપાલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે
