ભારત અને અમેરિકા વચ્ચે 8 જુલાઇ સુધી વચગાળાની વેપાર સમજૂતીની જાહેરાત થવાની ધારણા છે. 9 જુલાઈએ પારસ્પરિક ટેરિફના અમલ પહેલા બંને પક્ષોના પ્રતિનિધિમંડળો છેલ્લાં તબક્કાની મંત્રણા ચાલુ કરી હતી અને મોટોભાગના ક્ષેત્રો માટે સંમતિ સધાઈ ચુકી હતી, એમ સૂત્રોને ટાંકીને સોમવારે મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ લાદવા માટેની 9 જુલાઈની ડેડલાઇનમાં વધારો કરવાનો સોમવારે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેથી જો બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી નહીં થાય તો ભારતે અમેરિકામાં 26 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
વાણિજ્ય વિભાગમાં મુખ્ય વિશેષ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં એક ભારતીય ટીમ વાટાઘાટોને અંતિમ સ્વરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં છે અને ભારતીય ટીમે તેમના રોકાણને પણ લંબાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનમાં વચગાળાના વેપાર કરાર માટેની વાટાઘાટો સારી રીતે આગળ વધી રહી છે અને સેન્ટર ફોર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લો (CTIL)ના એક અધિકારી પણ ભારતીય ટીમમાં જોડાયા હતાં.
બંને દેશો 9 જુલાઈ પહેલા કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે કૃષિ અને ડેરી જેવા ક્ષેત્રોમાં પડકારો છે.
ટ્રમ્પે 2 એપ્રિલે વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી હતી. જોકે આ પછી ટેરિફના અમલને 9 જુલાઈ સુધી સ્થગિત કરાયો હતો.
ભારત માટે અમેરિકાને કૃષિ અને ડેરી ક્ષેત્રો ડ્યૂટીમાં રાહત આપવાનું મુશ્કેલ છે. ભારતે અત્યાર સુધી હસ્તાક્ષર કરાયેલા કોઈપણ મુક્ત વેપાર કરારમાં ડેરી ક્ષેત્રને ખુલ્લું મૂક્યું નથી.અમેરિકા ઓટોમોબાઇલ્સ – ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો, વાઇન, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ જેવી ઔદ્યોગિક પ્રોડક્ટ્સ તથા ડેરી, સફરજન, બદામ અને જેનેટિકલી મોડિફાઇડ પાક જેવી કૃષિ પેદાશો પર ડ્યુટી છૂટની માગણી કરી રહ્યું છે.
બીજી તરફ ભારત સૂચિત વેપાર કરાર હેઠળ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર પ્રોડક્ટ્સ, વસ્ત્રો, પ્લાસ્ટિક, રસાયણો, ઝીંગા, તેલિબિયા, દ્રાક્ષ અને કેળા જેવા શ્રમપ્રધાન ક્ષેત્રો માટે ડ્યુટી છૂટછાટો માંગી રહ્યું છે.
9 જુલાઈની સમયમર્યાદા લંબાવવામાં નહીં આવે તો શું અસર થશે તે અંગે પૂછવામાં આવતા, સૂત્રે જણાવ્યું હતું કે ટેરિફ 2 એપ્રિલના સ્તરે (ભારતના કિસ્સામાં 26 ટકા) આવશે.
