
દેશમાં ઇન્દિરા ગાંધીએ 1975માં લાદેલી ઇમર્જન્સીની 50મી વરસીએ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતાં. કોંગ્રેસ પર પ્રહાર કરતાં ભાજપે જણાવ્યું હતું કે કે ઇમર્જન્સી દેશની બહુપક્ષીય લોકશાહીને સરમુખત્યારશાહીમાં ફેરવી નાંખવાનું કાવતરુ હતું. કોંગ્રેસે લોકશાહી અને બંધારણની હત્યા કરી હતી અને હજુ આ માનસિકતામાંથી બહાર આવતી નથી.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારના 11 વર્ષ દરમિયાન અઘોષિત ઇમર્જન્સી છે.
ઇમર્જન્સીના 50 વર્ષ અંગેના એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું ડીએમકે, સમાજવાદી નેતાઓ પણ ઇમર્જન્સીનો ભોગ બન્યાં હતાં, પરંતુ આજે તેઓ એવી પાર્ટી સાથે બેઠા છે, જેને લોકશાહીની હત્યા કરી હતી. 25 જૂનનો તે દિવસ દરેકને યાદ અપાવે છે કે કોંગ્રેસ સત્તા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. 1975ની કટોકટીને ભલે 50 વર્ષ થઈ ગયા હોય, પણ કોંગ્રેસના અન્યાય, જુલમ અને સરમુખત્યારશાહીની યાદો હજુ પણ દરેકના મનમાં તાજી હતી.
ઇમર્જન્સીના કાળા દિવસોની યાદ કરીને અમિત શાહે જણાવ્યું હતું કે કટોકટી લાદ્યા પછી દેશભરમાં 1.1 લાખ લોકો, વિપક્ષી નેતાઓ, વિદ્યાર્થી કાર્યકરો, પત્રકારો અને તંત્રીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગુજરાત અને તમિલનાડુમાં બિન-કોંગ્રેસી સરકારોને બરતરફ કરી હતી. દુર્ભાગ્યવશ કટોકટીનો ભોગ બનનારા ઘણા લોકો હવે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ ગયા છે. આજે તેઓ લોકશાહી પર સવાલો ઉઠાવી રહ્યાં છે. હું કોંગ્રેસને બદલે આ લોકોને પૂછવા માંગુ છું કે તેઓ કયા અધિકારથી આ સવાલો ઉઠાવી રહ્યાં છે.? તમે કયા પક્ષ સાથે બેઠા છો, તે પક્ષ જેણે લોકશાહીની હત્યા કરી હતીં.
