બોલિવૂડ અભિનેતા સેફ અલી ખાન અને અને તેમના પરિવારને મોટો ફટકો પડ્યો હતો. મધ્ય પ્રદેશ હાઇકોર્ટે રૂ.15,000 કરોડની નવાબી સંપત્તિના માલિકીના હકોના કેસની ફરી સુનાવણી કરવાનો 30 જૂને ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે બે દાયકા પહેલાં આપેલા ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કર્યો હતો.
ટ્રાયલ કોર્ટે પટૌડી પરિવાર (સૈફ અલી ખાન, તેની માતા શર્મિલા ટાગોર તથા તેની બે બહેનો સોહા અને સબા)ને મિલકતોના માલિક જાહેર કર્યા હતાં. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટને એક વર્ષમાં આ કેસનો નિકાલ લાવવા અને નિર્ણય લેવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો હતો.
ભોપાલ રજવાડાનાં છેલ્લા શાસક નવાબ હમીદુલ્લાહ હતાં. તેમને અને તેમની પત્ની મૈમૂના સુલતાનને ત્રણ પુત્રીઓ હતી. તેમાં આબિદા, સાજીદા અને રાબિયાનો સમાવેશ થાય છે. સાજીદાએ ઇફ્તિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા અને ભોપાલના નવાબ બેગમ બન્યાં હતાં. તેમના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડીએ શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતાં. મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતાં.
નવાબ હમીદુલ્લાહની મોટી પુત્રી આબિદા પાકિસ્તાન જતી રહી છે. તેથી સાજિદા નવાબી મિલકતોની માલિક બની હતી. સાજિદાના પુત્ર મન્સૂર અલી ખાન પટૌડી (ટાઈગર પટૌડી, જેમણે શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતાં) આ મિલકતોનો વારસદાર બન્યાં હતા અને મિલકતોની અંદાજિત કિંમત લગભગ રૂ.15,000 કરોડ છે. આ મિલકત સૈફ અલી અને તેના ભાઈ-બહેનોને વારસામાં મળી હતી.
આ મિલકતના મામલે સ્વર્ગસ્થ નવાબ મોહમ્મદ હમીદુલ્લાહ ખાનના વારસદારો બેગમ સુરૈયા રશીદ અને અન્ય લોકોએ તથા નવાબ મેહર તાજ સાજીદા સુલતાન અને અન્ય લોકોએ બે અરજીઓ કરેલી છે. આ અરજીઓમાં જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે નવાબી સંપત્તિના અન્યાયી વિભાજન સામેના તેમના દાવાઓને ફગાવી દીધા હતાં. ભોપાલ જિલ્લા અદાલતે તેમના દાવાઓને અન્યાયી રીતે ફગાવી દીધાં હતાં. નવાબની અંગત મિલકતનું વિભાજન મુસ્લિમ પર્સનલ લો મુજબ કરવું જોઇએ. અરજદારોએ સાજિદા બેગમને તમામ ખાનગી મિલકતોના એકમાત્ર વારસાદાર જાહેર કરતાં ભારત સરકારના 10 જાન્યુઆરી, 1962ના સર્ટિફિકેટનો પણ વિરોધ કર્યો હતો.30 એપ્રિલ, 1949એ ભોપાલનું રજવાડુંને લેખિત કરાર હેઠળ ભારતીય સંઘમાં ભેળવી દેવામાં આવ્યું હતું
