પ્રિયંકા
(ANI Photo)

બોલીવૂડ છોડીને હોલીવૂડમાં સ્થાયી થયેલી ભારતની ભૂતપૂર્વ બ્યૂટી ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ એસ. એસ. રાજામૌલીની નવી ફિલ્મ ‘વારાણસી’ દ્વારા ભારતીય સિનેમામાં ફરી કામ કરવા તૈયાર છે. તાજેતરમાં જ પ્રિયંકાએ ‘ડોન’ સિરીઝ અને સુપરહીરો ડ્રામા ‘ક્રિશ’ના લાંબા સમયથી ચર્ચામાં રહેલી સીક્વલ્સ અંગે પણ સંકેત આપ્યા છે.

‘વારાણસી’ની રિલીઝ પહેલાં તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ‘ડોન’ અને ‘ક્રિશ’ બંને સાથે ફરી જોડાવાની તૈયારી દર્શાવી છે. જોકે, તેણે કોઈ પ્રોડક્શનની સત્તાવાર વિગતો જાહેર કરી નથી, પરંતુ તેણે કહ્યું કે, તે ‘મજબૂત વાર્તા ધરાવતા પાત્રો ભજવવા માટે તૈયાર છે,” જેના કારણે ‘ડોન’ અને ‘ક્રિશ’ સિરીઝમાં તેની સંભવિત એન્ટ્રી અંગે અટકળો તેજ બની ગઈ છે. ઇન્ટરવ્યૂમાં આ સીક્વલ વિશે પૂછતાં પ્રિયંકાએ કહ્યું, “મને ખબર નથી કે હું એમાંથી કોઈ વિશે વાત પણ કરી શકું કે નહીં.” આ જવાબ પર તેનાં કો-સ્ટાર મહેશ બાબુએ કહ્યું, “તો પછી કંઈક તો થઇ રહ્યું છે.”

આ પછી પ્રિયંકાએ ઉમેર્યું, “આગળનો સમય રોમાંચક છે અને હા, ‘વારાણસી’ દ્વારા લગભગ છ વર્ષ પછી પ્રથમવાર હું ભારતમાં કોઈ ફિલ્મ કરી રહી છું, એટલે પાછા આવવાની ખુશી છે. મને સૌથી વધુ જે વાત ગમી, તે એવી હતી કે મને ફરીથી ડાન્સ કરવાની તક મળી. મેં મારા કોઈ પણ હોલીવૂડ પ્રોડક્શનમાં એવું નથી કર્યું. એટલે એ માટે હું બહુ ઉત્સાહિત હતી.”

બોલીવૂડ અને હોલીવૂડમાં કામ કરવાનાં તફાવત વિશે પ્રિયંકાએ કહ્યું, “હું માનું છું કે, બંનેની કામગીરી ખૂબ અલગ છે અને તમારે તમારું મન એ પ્રમાણે ફેરવવું પડે છે. હું મારા મનને બે ભાગમાં વહેંચી શકું છું. મને નથી લાગતું કે એક જગ્યા પરથી શીખેલી બાબતો બીજી જગ્યાએ લાગુ પડે. તમે જે સેટ પર કામ કરો છો, તેમાં પૂરેપૂરા ડુબી જવું પડે. એક કલાકારની સફર હંમેશા દિગ્દર્શકની દૃષ્ટિથી જ આગળ વધે છે, દરેક ફિલ્મ સેટ પર તમે નવું શું લાવી શકો છો, તેનાથી ફિલ્મને શું મળે છે, તે દૃષ્ટિ સાથે તમારે કામ કરવું પડે છે. પરંતુ હું ખરેખર ખુશ છું કે હું ભારતમાં પાછી આવીને આ ફિલ્મ કરી રહી છું, કારણ કે ભારતીય ફિલ્મોમાં પાછા આવવાનો જો કોઈ શ્રેષ્ઠ રસ્તો હોય શકે, તો તે આ જ હતો.’

LEAVE A REPLY