
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના માર્ગો પર ચર્ચા કરવા માટે ગલ્ફના ત્રણ દેશોના ટોચના રાજદ્વારીઓ ગત વીક એન્ડમાં પાકિસ્તાનમાં ભેગાં થયા હતા. જોકે ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા અને ઇરાન દ્વારા વળતા મિસાઈલ તથા ડ્રોન હુમલાઓ સાથે યુદ્ધ ચાલુ રહ્યું હતું. બીજી તરફ ઇરાન સામે 28 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યા પછી કોઇ મોટી સફળતા ન મળ્યાં પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રાઉન્ડ ઓપરેશન કરીને તહેરાનના આશરે 400 કિલોગ્રામ સંવર્ધિત યુરેનિયમ અને ક્રૂડ ઓઇલના મહત્ત્વના ભંડારો પર કબજો મેળવવાની યોજના બનાવી હોવાનુ સોમવાર, 30 માર્ચે મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું. ઇરાને પણ ગ્રાઉન્ડ ઓપરેશનના કિસ્સામાં અમેરિકાના સૈનિકોને નરકમાં મોકલવાની ધમકી આપી હતી.
ધ વોલ સ્ટ્રીટ જર્નલે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમના સલાહકારોને યુદ્ધ સમાપ્ત કરવાની શરત તરીકે અણુ બોંબ બનાવવાની સામગ્રી સોંપવા માટે તેહરાન પર દબાણ કરવાની સૂચના આપી છે. ટ્રમ્પે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે તેહરાન પરમાણુ સામગ્રી રાખી શકશે નહીં અને જો ઈરાન વાટાઘાટોના ટેબલ પર આ સામગ્રી સરેન્ડર કરવા તૈયાર ન થાય તો બળજબરીથી તેને કબજે કરવાની ચર્ચા કરી છે. આની સાથે ટ્રમ્પે નોંધ્યું હતું કે પાકિસ્તાની દૂતોના માધ્યમથી થઈ રહેલી પરોક્ષ વાટાઘાટોમાં પ્રગતિ થઈ શકે છે.
પેન્ટાગોન ખાડીમાં 10,000 જેટલા વધારાના સૈનિકો તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલ છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે 2,500 મરીન સહિત 3,500 થી વધુ સૈનિકો મધ્ય પૂર્વમાં પહોંચી ગયા છે. આનાથી મધ્યપૂર્વમાં અમેરિકાના સૈનિકોની સંખ્યા વધીને 57,000 થશે.
વોશિંગ્ટન પોસ્ટે ભૂતપૂર્વ યુએસ લશ્કરી અધિકારીઓ અને નિષ્ણાતોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે બળજબરીથી યુરેનિયમ જપ્ત કરવાની કોઈપણ હિલચાલ જટિલ અને ખતરનાક હશે. સંભવિત કાર્યવાહીનો ઈરાન જોરદાર પ્રતિકાર કરશે અને તેનાથી યુદ્ધ લાંબું ખેંચાશે. પ્રેસિડન્ટ ટ્રમ્પે ઇરાનના ખાર્ગ ટાપુ અને ક્રૂડ ઓઇલના ભંડાર કબજે કરવાના પણ સંકેત આપ્યા છે. ખાર્ગ ટાપુ તેહરાનનું મુખ્ય ઓઇલ નિકાસ હબ છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે “સાચું કહું તો મને ઈરાનમાંથી તેલ લેવું ખૂબ ગમે છે, પણ અમેરિકામાં રહેતા કેટલાક મૂર્ખ લોકો કહે છે, ‘તમે આવું કેમ કરી રહ્યા છો?’ પણ તેઓ મૂર્ખ લોકો છે.”
ઇરાને પાકિસ્તાનની મધ્યસ્થથી થઈ રહેલી વાટાઘાટોમાં પોતાની કોઇ પણ પ્રકારની સામેલગીરીનો ઇનકાર કર્યો હતો. મુંબઇ ખાતેના ઇરાનના કોન્સ્યુલ જનરલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા સાથે આ અંગે કોઇ સીધી વાટાઘાટો થઇ રહી નથી. અમેરિકા વચેટીયાઓ મારફતે ગેરવાજબી અને વધારે પડતી માગણીઓ કરી રહ્યું છે.
પાકિસ્તાને જણાવ્યું હતું કે ઈસ્લામાબાદમાં યોજાયેલી આ મંત્રણામાં સાઉદી અરેબિયા, તુર્કી અને ઈજિપ્તના વિદેશ મંત્રીઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ આ ચર્ચાઓમાં અમેરિકા કે ઈઝરાયેલ સામેલ નથી. ઈજિપ્તના વિદેશ મંત્રી બદ્ર અબ્દેલતી અને તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાન ગત શનિવારે ઇસ્લામાબાદ પહોંચ્યા હતા, જ્યારે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન રવિવારે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારના આમંત્રણ પર પહોંચ્યા હતા. બે દિવસીય આ ચતુષ્કોણીય બેઠક એ કટોકટીના રાજદ્વારી ઉકેલો માટે પાકિસ્તાનના પ્રયાસોનો એક ભાગ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રતિનિધિઓએ તંગદિલી ઘટાડવાના પ્રયાસો સહિત અનેક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રી ડારે તેમના સમકક્ષો સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. સાઉદી વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન સાથેની વાતચીતમાં બંને પક્ષોએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર ચર્ચા કરી હતી અને સંવાદ તથા સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને દેશોએ પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રયાસો કરવા અને સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી.
ડારે તુર્કીના હાકાન ફિદાન સાથે પણ મુલાકાત કરી હતી અને પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં સંબંધોના વિસ્તરણ માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી હતી.એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ડારે એ પણ જાહેરાત કરી હતી કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વધુ ૨૦ પાકિસ્તાની ધ્વજ ધરાવતા જહાજોને પસાર થવા દેવા માટે સંમત થયું છે, જે વિશ્વના આશરે ૨૦ ટકા તેલના પ્રવાહ માટે એક મહત્વપૂર્ણ વૈશ્વિક ઊર્જા માર્ગ છે. તેમણે જણાવ્યું હતું કે આ ઈરાન તરફથી એક આવકારદાયક અને રચનાત્મક પગલું છે અને તે શાંતિનો સંદેશવાહક બની પ્રદેશમાં સ્થિરતા લાવવામાં મદદ કરશે.
તેમણે ભાર મૂક્યો હતો કે સંવાદ, મુત્સદ્દીગીરી અને આવા વિશ્વાસ નિર્માણના પગલાં જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. જોકે આ રાજદ્વારી પ્રયાસો છતાં કોઈ મોટી સફળતાના સંકેતો ઓછા દેખાયા હતા. અમેરિકાએ આ પ્રદેશમાં વધારાના સૈનિકો મોકલ્યા છે, જ્યારે ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર કાલીબાફે આ મંત્રણાને માત્ર એક દેખાવો ગણાવી ફગાવી દીધી હતી અને ચેતવણી આપી હતી કે ઇરાન કોઈપણ ભૂમિ આક્રમણ સામે મજબૂત વળતો પ્રહાર કરવા તૈયાર છે. ઈઝરાયેલે અમેરિકાને ઈરાન તરફથી નવા હુમલાઓની જાણ કરી હતી, જ્યારે તેહરાનમાં વિસ્ફોટો સંભળાયા હતા.
દરમિયાન યમનમાં ઈરાન સમર્થિત હુથીઓ પણ આ યુદ્ધમાં જોડાયા હતા અને તેમણે સંવેદનશીલ ઈઝરાયેલી લશ્કરી સ્થળો પર મિસાઈલ છોડી હતી. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન ભૂમિદળ વગર પણ તેના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી શકે છે, ભલે વ્યાપક યુદ્ધ સામે આંતરિક વિરોધ વધી રહ્યો હોય.
ટોચના રાજદ્વારીઓની ઈસ્લામાબાદમાં આ મુલાકાત અમેરિકા દ્વારા ઈરાન સાથે સંભવિત શાંતિ કરાર માટે ૧૫ મુદ્દાની ‘એક્શન લિસ્ટ’ ઓફર કર્યાના થોડા દિવસો પછી થઈ હતી. જોકે તેહરાને આ પ્રસ્તાવને ફગાવી દીધો છે અને અહેવાલો મુજબ તેઓ પોતાની યોજના પર કામ કરી રહ્યા છે, જેમાં ઈરાની અધિકારીઓ પરના હુમલાઓ રોકવા, ભવિષ્યના હુમલાઓ સામે ગેરંટી, નુકસાનીનું વળતર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તેની સાર્વભૌમત્વની માન્યતા જેવી માંગણીઓ સામેલ છે. ઈઝરાયેલી હુમલામાં ઈરાની યુનિવર્સિટીઓને નિશાન બનાવવામાં આવ્યા બાદ તણાવ વધુ વધ્યો હતો.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે ચેતવણી આપી હતી કે જો સુરક્ષાની ખાતરી આપવામાં નહીં આવે તો આ પ્રદેશમાં ઈઝરાયેલી અને અમેરિકન યુનિવર્સિટી કેમ્પસ કાયદેસરના લક્ષ્યાંક બની શકે છે. ગાર્ડે જણાવ્યું હતું કે જો અમેરિકા તેની પ્રાદેશિક યુનિવર્સિટીઓને સુરક્ષિત રાખવા માંગતું હોય, તો તેણે સોમવાર ૩૦ માર્ચના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સત્તાવાર નિવેદન દ્વારા ઈરાની યુનિવર્સિટીઓ પરના બોમ્બમારોની નિંદા કરવી જોઈએ.
ભારતના વિદેશપ્રધાન જયશંકરની ટીપ્પણી
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ સમગ્ર પરિસ્થિતિ પર અગાઉ અત્યંત તાર્કિક અને સ્પષ્ટ ટિપ્પણી કરી હતી. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની વિદેશ નીતિ હંમેશા સંવાદ અને મુત્સદ્દીગીરીની હિમાયતી રહી છે. તેમણે કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને દરેક વિવાદનો ઉકેલ વાતચીત દ્વારા જ આવવો જોઈએ. જયશંકરની આ ટિપ્પણી પાકિસ્તાન અને ઈરાન બંને માટે એક પરોક્ષ સંદેશ હતો કે આ પ્રદેશમાં અસ્થિરતા આવવાથી ભારત જેવા પાડોશી દેશોની ઊર્જા સુરક્ષા અને દરિયાઈ વ્યાપાર પર ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને લાલ સમુદ્ર અને પર્શિયન ગલ્ફમાં વધતી જતી અસુરક્ષાના સંદર્ભમાં ભારતની ચિંતા સ્વાભાવિક છે કારણ કે ભારતનો મોટો વ્યાપારી માર્ગ આ વિસ્તારમાંથી પસાર થાય છે.
ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ખૂબ જ ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. એસ. જયશંકરે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈ પણ પક્ષ લેવાને બદલે શાંતિના પક્ષમાં છે. તેમણે ઈરાનની મુલાકાત દરમિયાન પણ આતંકવાદ અને ઉશ્કેરણીજનક હુમલાઓ સામે ભારતનું કડક વલણ રજૂ કર્યું હતું. ભારતના મતે જો પાકિસ્તાન ખરેખર મધ્યસ્થી કરવા ઈચ્છતું હોય તો તેણે પહેલા પોતાની ધરતી પર પલતા આતંકવાદી જૂથો પર નિયંત્રણ મેળવવું પડશે જે વારંવાર ઈરાન અને ભારત જેવા દેશો માટે સુરક્ષાનું જોખમ ઊભું કરે છે.
એક મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પાકિસ્તાન હવે આ યુદ્ધનો અંત લાવવા માટે એક એવું ફોર્મ્યુલા તૈયાર કરી રહ્યું છે જેમાં ઈરાનની સુરક્ષાની ચિંતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયની શરતો વચ્ચે સંતુલન જળવાય. જોકે, આ પ્રયાસો કેટલા સફળ થશે તે તો સમય જ બતાવશે. ઈરાનનું વલણ હાલમાં થોડું આક્રમક છે, પરંતુ જો પાકિસ્તાન તેને ચીન અને રશિયા જેવા દેશોના માધ્યમથી દબાણ કરી શકે તો કદાચ યુદ્ધવિરામની શક્યતા નકારી શકાય તેમ નથી.














