રોજગારી માટે વિદેશ ગયેલા ભારતીય વર્કર્સની ખૂબ દયનીય સ્થિતિ અંગે રજૂ થયેલી આંકડાકીય માહિતીમાં દર્શાવવામાં આવ્યું હતું કે, વિવિધ દેશોમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દરરોજ 20 ભારતીય વર્કર્સના મોત થયા હતા, તેમાં સૌથી મોટો આંકડો અખાતના દેશોમાં નોંધાયો હતો. રાજ્યસભામાં પૂછાયેલાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે, 2021થી 2025ના સમયગાળા દરમ્યાન વિદેશોમાં કુલ 37,740 ભારતીય વર્કર્સના મોત થયા હતા. જોકે, આ લોકોના મોતના કારણ અંગે તેમણે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. આ માહિતી મુજબ, 2021માં કુલ 8234 ભારતીય વર્કર્સના મોત થયા હતા જે આ પાંચ વર્ષનો સૌથી મોટો આંકડો હતો. જોકે, 2022માં તેમના મોતની સંખ્યા થોડી ઘટીને 6614 નોંધાઇ હતી. પરંતુ ત્યાર પછી 2023માં 7291, 2024માં 7747 અને 2025માં 7854 ભારતીય વર્કર્સના મોત નોંધાયા હતા.
વિદેશોમાં ભારતીય વર્કર્સના નોંધાયેલા મોતમાં સૌથી વધુ એટલે કે 86 ટકા મોત અખાતના દેશોમાં થયા હતા. આ છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન યુનાઇટેડ આરબ અમીરાત (યુએઇ)માં 12,380 અને સાઉદી અરેબિયામાં 11,757 ભારતીય વર્કર્સના મોત નોંધાયા હતા. આ સમયગાળા દરમ્યાન કુવૈતમાં 3890, ઓમાનમાં 2821, મલેશિયામાં 1915 અને કતારમાં 1760 ભારતીય વર્કર્સએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ સમયગાળા દરમ્યાન વિદેશોમાં આવેલી ભારતીય કોન્સ્યુલેટ અથવા તો એમ્બેસીમાં ભારતીય નાગરિકો તરફથી 80,985 ફરિયાદો મળી હતી, જેમાં ફરિયાદીઓએ પોતાનું શોષણ થયું હોવાની અને કામના સ્થળ સંબંધી વિવિધ ફરિયાદો કરી હતી. આ ફરિયાદીઓની સંખ્યામાં સૌથી વધુ સંખ્યા યુએઇમાં કામ કરતા વર્કર્સની હતી. 2021થી 2025 વચ્ચે એકલા યુએઇની જુદી જુદી કંપનીઓમાં કામ કરતા 16,965 ભારતીય કામદારોએ આ મુજબની ફરિયાદો કરી હતી. તે ઉપરાંત કુવૈતમાં 15,234, ઓમાનમાં 13,295 અને સાઉદી અરેબિયામાં 12,988 ફરિયાદો નોંધાઇ હતી.
ભારતીય સંસદનો રેકોર્ડ અને કોમનવેલ્થ હ્યુમન રાઇટ ઇનિશિયેટીવના રીપોર્ટ મુજબ, 2012થી 2018 દરમ્યાન અખાતના દેશોમાં દરરોજ 10 ભારતીય વર્કર્સના મોત નિપજ્યા હતા. આ છ વર્ષ અને છ મહિનાના સમયગાળા દરમ્યાન બહેરીન, ઓમાન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઇ જેવા છ અખાતી દેશોમાં કુલ 24,570 ભારતીય વર્કર્સના મોત નોંધાયા હતા.