દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. આ કારણે દિલ્હીમાં હવે 31મી મે સુધી કોરોના પ્રતિબંધો લાગુ રહેશે. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1600 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ ઘટીને 2.5 ટકા થયો હતો.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, જો કોરોના કેસ ઘટતા રહેશે અને સ્થિતિ સુધરતી જણાશે તો 31મી મે બાદ તબક્કાવાર ધોરણે અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં 18મી એપ્રિલથી લોકડાઉનની શરૂઆત થઈ હતી અને 24 મેના રોજ તેનો અંત આવવાનો હતો, પરંતુ તે પહેલા જ મુખ્યપ્રધાન લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવવાની જાહેરાત કરી છે.

કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, દિલ્હીમાં અનુશાસનના કારણે એક મહિનામાં કોરોનાની લહેર નબળી પડતી જોવા મળી રહી છે. એપ્રિલમાં સંક્રમણ દર 36 ટકાએ પહોંચી ગયો હતો અને આજે ઓછા લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે.

કેજરીવાલે વેક્સિનની તંગી અંગે પણ વાત કરી હતી. જો કે, સાથે જ તેમણે બધા સાથે મળીને વેક્સિનની સમસ્યાનું સમાધાન શોધી કાઢીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે મહામારી દરમિયાન સંપૂર્ણપણે સેવાભાવમાં જોડાયેલા ડોક્ટર્સ અને નર્સને પણ યાદ કર્યા હતા.