ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં સમસ્યા ઊભી થઈ હતી અને રાજકોટથી ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ 93 દિવસની કોરોનાની સારવાર કારગત ન નીવડી અને મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા. તે વાતનું દુઃખ છે કે આપણે એક તેજસ્વી અને સમજદાર મન ગુમાવી દીધું છે. રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે જુસ્સાદાર. તેના પરિવાર અને મિત્રોને સંવેદના. ઓમ શાંતિ.

અભય ભારદ્વાજ 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બની ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા તથા અખીલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું હતું. રાજકોટના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજનો જન્મ બીજી એપ્રિલ 1954ના થયો હતો.