ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે અમદાવાદમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૧૨ જાન્યુઆરીના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ઉપસ્થિત રહેશે.
તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ પતંગ મહોત્સવના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત તા. ૧૩ જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરાશે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.
આ મહોત્સવમાં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ વર્ષે પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં તા.૧૦ જાન્યુઆરીએ, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તા.૧૧ જાન્યુઆરી અને વડોદરા ખાતે તા.૧૩ જાન્યુઆરીના રોજ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા.












