પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમરેલીમાં 150 કરોડના રોકાણ સાથે એરક્રાફ્ટ યુનિટ શરૂ થશે. જો બધુ યોજના મુજબ ચાલ્યું તો 2021ના અંત સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી ખાતે વિમાન નિર્માણની કામગીરી શરૂ થઈ જશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગે ગુરુવારે અમદાવાદ સ્થિત એરો ફ્રેયર ઇન્ક સાથે અમદાવાદમાં ફ્લાઇટ ટેસ્ટિંગ અને MRO (મેઈન્ટેનન્સ, રિપેરિંગ, ઓપરેશન્સ) ફેસિલિટી સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે MoU પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે.

આ કંપનીએ ટૂ સીટર અને ફોર સીટર એરક્રાફ્ટ અને એર એમ્બ્યુલન્સ માટે ઉત્પાદન સુવિધા સ્થાપવા રૂ. 150 કરોડનું રોકાણ કર્યું છે. ગુજસેલ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવાયું છે કે, ‘આ પ્રોત્સાહક છે કે, ગુજરાત સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે એરો ફ્રેયર ઇન્ક સાથે ગુજરાતમાં ફ્લાઇટ ટેસ્ટિંગ અને MRO ફેસિલિટી સાથે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે MoU પર હસ્તાક્ષર કર્યા છે.’

ગુજસેલ ઈન્ડિયાના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ભવિષ્યમાં ખાનગી અને અન્ય ઉપયોગો માટે નાના એરક્રાફ્ટની ઉત્કૃષ્ટ માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદન સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.’ ચૌહાણે ઉમેર્યું કે, અમરેલી ખાતેના એરફિલ્ડ નજીક 8.5 વીઘા જમીન પર હાલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિર્માણ ચાલી રહ્યું છે. એરફિલ્ડનો ઉપયોગ વિમાનના પરીક્ષણ માટે કરવામાં આવશે.’

એરો ફ્રેયર ઇન્કના CEO અભિમન્યુ દેથાએ જણાવ્યું હતું કે, અમે આ વર્ષના અંત સુધીમાં અમારા પ્રથમ વિમાનનું ઉત્પાદન પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ પ્લાન્ટનો ઉપયોગ હેલિકોપ્ટર અને ફિક્સ્ડ વિંગ ગ્લાઈડર્સને એસેમ્બલ કરવા માટે પણ કરવામાં આવશે. નાના એરક્રાફ્ટ સ્પોર્ટિંગ એક્ટિવિટિઝ, એરિયલ સર્વે, કોર્પોરેટ યુઝ, ડિફેન્સ ટ્રેનિંગ અને પાઇલટ ટ્રેનિંગ સેન્ટર્સ માટે ઉપયોગી છે.