પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની તમામ બેન્કોએ હવે મૃત ગ્રાહકના ડિપોઝિટ એકાઉન્ટ્સ, લોકર્સ, સેફ ડિપોડિઝ સંબંધિત દાવાનું 15 દિવસમાં સેટલમેન્ટ કરવું પડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ મૃત્યુ પામેલા ગ્રાહકોના બેન્ક ખાતાઓ અને લોકરો પરના દાવાઓના સરળ અને ઝડપી સેટલમેન્ટ માટેના નવા નિયમોની દરખાસ્ત કરી છે. લોકર અથવા સેફ કસ્ટડીમાં રહેલી વસ્તુઓ માટે બેન્કોએ 15 દિવસમાં એક સંદેશ જારી કરીને તેમાં રહેલી સામગ્રી  લેવાની તારીખ નક્કી કરવી પડશે. જોકે આનાથી વધુ વિલંબ થશે તો બેન્કે વ્યાજ ચુકવવું પડશે.

રિઝર્વ બેન્કે નવા નિયમોનો ડ્રાફ્ટ જારી કર્યો હતો અને 27 ઓગસ્ટ સુધી જાહેર જનતાને અભિપ્રાય માંગ્યાં છે. નવા નિયમો મુજબ જો બેંકો પોતાની ભૂલને કારણે ડિપોઝિટ સંબંધિત દાવાઓના સેટલમેન્ટમાં સમયમર્યાદા પછી વિલંબ કરે તો બેન્કોએ વિલંબના સમયગાળા માટે વ્યાજના રૂપમાં વળતર ચૂકવવું પડશે. આ વળતર પ્રવર્તમાન બેંક રેટ વત્તા વાર્ષિક 4 ટકાના વ્યાજ લેખે ગણવું પડશે. લોકર અથવા સેફ કસ્ટડીમાં રહેલી વસ્તુઓના કિસ્સામાં, વિલંબના દરેક દિવસ માટે વળતર રૂ.5,000 હશે.

નવા નિયમો મુજબ  બેંકોએ નોમિની અથવા કાનૂની વારસદારો પાસેથી દાવા અને સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરવો પડશે. આ ફોર્મ તમામ બેંક શાખાઓમાં તેમજ તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે, જેમાં જરૂરી દસ્તાવેજોની યાદી અને દાવાની પતાવટ માટેની સ્ટેપ બાય સ્પેટ પ્રોસિજરની માહિતી હશે.

ડિપોઝિટ એકાઉન્ટ અથવા લોકરમાં નોમિનીનું નામ હોય તો તેમણે ક્લેમ ફોર્મ, મૃત ગ્રાહકનું મૃત્યુ પ્રમાણપત્ર તથા પોતાની ઓળખ અને સરનામાનો પુરાવો સબમિટ કરવાનો રહેશે. કોઈ નોમિનેશન કરવામાં આવ્યું ન હોય, તેવા કિસ્સામાં બેંકોએ કાનૂની વારસદારોને અસુવિધા ટાળવા માટે સરળ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. બેંકોએ ઓછામાં ઓછા રૂ.15 લાખના દાવાની મર્યાદા નક્કી કરવી પડશે. આ મર્યાદા સુધીના દાવા માટે ઇન્ડેમ્નિટી બોન્ડ અને અન્ય કાનૂની વારસદારો તરફથી નો-ઓબ્જેક્શન લેટર જેવા દસ્તાવેજોની જરૂર પડશે. આનાથી વધુ દાવાની રકમ માટે વારસા પ્રમાણપત્ર અથવા કાનૂની વારસદાર પ્રમાણપત્ર જેવા વધારાના કાનૂની દસ્તાવેજોની જરૂર પડશે.

LEAVE A REPLY