કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર) (Photo by MONEY SHARMA/AFP via Getty Images)

ભારતમાં ખેડૂત આંદોલનને મુદ્દે તાજેતરમાં ભારત સરકારની ટીકા કરનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે ફોન કોલ કરીને કોરોનાના વેક્સિનની માગણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખાતરી આપી હતી કે કેનેડાને કોરોના વેક્સિન આપવા માટે ભારત તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે.

ભારતના વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે ટુડ્રોએ વડાપ્રધાનને ફોન કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારત પાસે જબરદસ્ત ફાર્માસ્યુટિકલ ક્ષમતા છે અને તે કોવિડ-19ને હરાવવા માટે કેનેડાને વેક્સિનનો સપ્લાય આપે.ફોન પર વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મોદીને ભારત પાસેથી કેનેડાને કેટલી કોવિડ-19 વેક્સિન જોઈએ છે તેની માહિતી આપી હતી.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારા મિત્ર જસ્ટિન ટ્રુડોનો ફોન આવ્યો જેનાથી હું ઘણો જ ખુશ થયો છું. હું તેમને ખાતરી આપું છું કે ભારત કેનેડાની વેક્સિનની જરૂરિયાત પૂરી કરવા માટે તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અમે ક્લાઈમેટ ચેન્જ અને વૈશ્વિક અર્થતંત્રમાં તેજી જેવા મહત્વના મુદ્દાઓ પર એક સાથે મળીને કામ કરવાનું જારી રાખીશું.

કેનેડાના વડાપ્રધાનને પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઘણા મહત્ત્વના મુદ્દા અંગે વડાપ્રધાન મોદી સાથે મારે સારી મંત્રણા થઈ હતી અને અમે એકબીજાના સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા. કેનેડાના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ લોકશાહી સિદ્ધાંતો માટે કેનેડા અને ભારતની કટિબદ્ધતા, તાજેતરના આંદોલન અને મંત્રણા મારફત મુદ્દાના ઉકેલની ચર્ચા કરી હતી. બંને નેતાઓએ વેક્સિનના ઉત્પાદન અને સપ્લાય માટે ભારતના નોંધપાત્ર પ્રયાસો અંગે વાતચીત કરી હતી, જેનાથી વિશ્વભરના દેશોને મહત્ત્વના સપોર્ટ મળ્યો છે. બંને નેતાઓ વેક્સિનના સપ્લાય અંગે સાથી મળીને કામ કરવા તૈયાર થયા છે.

નોંધનીય છે કે ભારતે ઘણા દેશોને વેક્સિન આપી છે. વિશ્વની સૌથી અસરકારક માનવામાં આવતી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઘણા દેશોએ વેક્સિન માટે ભારતનો સંપર્ક કર્યો છે.

ગયા સપ્તાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતે ગ્રાન્ટ આસિસ્ટન્સ અંતર્ગત ઘણા દેશોને વેક્સિનના 56 લાખ ડોઝ આપ્યા છે. જ્યારે કોમર્શિયલ સપ્લાય અંતર્ગત 100 લાખ ડોઝ પૂરા પાડ્યા છે.