જીવલેણ કોરોના વાયરસના સંક્રમણથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1631 સુધી પહોંચી ગઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે આ વાયરસના કારણે સૌથી વધારે અસર હુબેઈ પ્રાંતમાં જોવા મળી છે. શુક્રવારના રોજ હુબેઈમાં 2420ના નવા મામલા નોંધાયા છે અને 139 લોકોના મોત નિપજ્યા છે. આયોગે જણાવ્યું કે આ ઉપરાંત હેનાનમાં બે અને બેઈજિંગ તેમજ ચોંગક્વિંગમાં એક-એક વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

દેશમાં શુક્રવારે 31 પ્રાંતીય સ્તરના વિસ્તારોમાં 2641 લોકો આ વાયરસની લપેટમાં આ‌વ્યા હોવાની પુષ્ટી થઈ છે. ચીનના આરોગ્ય અધિકારીઓનાં અનુસાર 65000 લોકો હાલ ચેપગ્રસ્ત છે. જો કે આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા દાવો કરાયો છે કે આ વાયરસ COVID-19 (કોરોના વાયરસનું અધિકૃત નામ)ની અસર આંશિક રીતે ઓછી થઈ રહી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કહ્યું હતું કે આ ચીનમાં આ વાયરસના 254 કેસો નોંધાવામાં તેની ગણતરીમાં ફેરફાર જવાબદાર છે. આમ, આ વાયરસના ફેલાવામાં નોંધપાત્ર વધારો હાલ જોવા મળતો નથી.

જીનિવામાં WHOના હેલ્થ ઈમર્જન્સીસ પ્રોગ્રામના વડા માઈકલ રિયાને કહ્યું હતું, ‘વાયરસના ફેલાવામાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. તેમણે કહ્યું હતું કે કઈ રીતે કેસો નોંધાય છે તેના આધારે અને છેલ્લા 24 કલાકના ડેટા અનુસારની ગણતરીમાં વાયરસનો ફેલાવો ઝડપથી વધી રહ્યો હોવાનું પ્રતીત થાય છે પરંતુ ખરેખર તેની ગતિ ધીમી પડી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની 15 સભ્યોની ટીમ ચીનમાં આવી પહોંચી છે. જ્યારે માઈકલ રિયાન પણ આ ટીમ સાથે જોડાવા માટે ચીન આવે એવી શક્યતાઓ છે.

જાપાનના તટથી દૂર ડાયમંડ પ્રિન્સેસ જહાજ પર ઉપસ્થિત વધુ એક ભારતીય પ્રવાસીને કોરોના વાયરસનો ચેપ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ આ જહાજ પર કોરોના પીડિત ભારતીયોની સંખ્યા ત્રણ થઈ છે. આ જાણકારી જાપાનમાં ભારતીય દૂતાવાસે આપી છે. આ જહાજ પર અત્યાર સુધીમાં કુલ 218 લોકો વાયરસનો ચેપ ધરાવતા હોવાના અહેવાલો મળ્યા છે, જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બાકી બચેલા 3711 લોકોને જહાજ પર આઈસોલેશનમાં રખાયા છે. આ જહાજમાં કુલ 138 ભારતીયો સવાર છે જેમાં 132 ચાલક દળના સભ્યો અને છ પેસેન્જર છે. ભારતીય દૂતાવાસે શુક્રવારે નિવેદન જારી કરી કહ્યું હતું, ‘ભારતીય નાગરિકો સહિત તમામ 218ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.