નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના નામથી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી હિંસા થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે જ્યારે 250 જેટલા લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે સ્થિતિને કંટ્રોલમાં લેવાની જવાબદારી NSA અજીત ડોભાલને સોંપવામાં આવી છે. તેઓ જ વડાપ્રધાન મોદી અને કેબિનેટને રિપોર્ટ સોંપશે. બુધવારે સવારે પણ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં હિંસક પ્રદર્શન થયું હતું. અહીં અમુક ઉપદ્રવીઓએ એક દુકાનને આગ લગાવીને ભાગી ગયા હતા.

દિલ્હીમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી: દિલ્હીમાં હિંસા પર કાબુ મેળવવા માટે ગૃહ મંત્રાલય એક્શનમાં આવ્યું છે. દિલ્હીમાં અત્યાર સુધી 800થી વધારે જવાન તહેનાત કરવામાં આવ્યા છે. મંગળવાર સુધી દિલ્હીમાં 37 અર્ધસૈનિક બળ કંપની તહેનાત હતી પરંતુ હવે તેની સંખ્યા વધારીને 45 કરી દેવામાં આવી છે. દિલ્હીમાં સેનાએ માર્ચ કરી: દિલ્હીમાં ખાસ કરીને હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના દ્વારા માર્ચ કરવામાં આવી છે.

હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સેના સાથે અન્ય સુરક્ષાબળ અને અધિકારીઓ માર્ચમાં જોડાયા હતા અને તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું છે કે, હું સતત દિલ્હીમાં ઘણાં લોકોના સંપર્કમાં છું. અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસ તેમના તમામ પ્રયત્નો પછી પણ સ્થિતિ સંભાળી નથી શકતી. આ સંજોગોમાં હવે સેનાને તહેનાત કરવી જોઈએ અને પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવો જોઈએ. હું આ વિશે કેન્દ્રીય ગૃહ મંત્રીને ચિઠ્ઠી લખી રહ્યો છું.

કેન્દ્ર સરકારે દિલ્હી હિંસાની સ્થિતિ કાબુમાં કરવાની જવાબદારી NSA અજીત ડોભાલને સોંપી છે. તેઓ વડાપ્રધાન મોદી અને કેબિનેટને રિપોર્ટ સોંપશે. ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સવારે શાહદરા હિંસામાં ઘાયલ ડીસીપી અમિત શર્માના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. અમતિ શાહે પરિવારજનો પાસેથી શર્માની તબિયતમાં કેવી રીતે સુધારો થઈ રહ્યો છે તે વિશેની માહિતી લીધી હતી.

દિલ્હીની હાલની સ્થિતિ વિશે કાબુ મેળવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીલ ડોભાલને દરેક પ્રકારની છૂટ આપવામાં આવી છે. અજીત ડોભાલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટમાં દિલ્હી હિંસાની માહિતી આપશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી અમેરિકા જવા રવાના થતાં જ દિલ્હી પોલીસ દ્વારા તોફાનીઓ પર શૂટ એટ સાઇટના ઓર્ડર આપવામાં આવ્યા છે. પોલીસે મોડી સાંજે જણાવ્યું હતું કે જાફરાબાદનો રસ્તો ક્લિયર કરવામાં આવ્યો છે.

તોફાનીઓએ મંગળવારે મૌજપુર, ભજનપુરા, બ્રહ્મપુરી અને ગોકલપુરી વિસ્તારમાં પથ્થર મારો કર્યો હતો. મૌજપુર મેટ્રો સ્ટેશનની પાસે બે જુથો વચ્ચે થયેલી મારામારી દરમિયાન ફાયરિંગ થયું હતું. જ્યારે જાફરાબાદમાં પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ચેનલોને એક એડવાઇઝરી જાહેર કરીને ધાર્મિક લાગણી દૂભાય તે પ્રકારના દ્રષ્યો તેમજ ખોટી માહિતી ન ફેલાય તે અંગે સાવચેતી રાખવા જણાવ્યું હતું.