સિંધુ બોર્ડર પર નવા કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતો (PTI Photo/Shahbaz Khan)

ભારતમાં કૃષિ સુધારાના ત્રણ નવા કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં થઇ રહેલા શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસ સ્વાતંત્ર્ય મુદ્દે સોમવારે બ્રિટિશ સંસદસભ્યોના જૂથ વચ્ચે “સ્પષ્ટ રીતે એકપક્ષીય ચર્ચા” દરમિયાન કરાયેલા ખોટા દાવાઓને લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને વખોડી કાઢ્યા છે. બીજી તરફ યુકે સરકારે આ ચર્ચા માટે નિમેલા ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસના (એફસીડીઓ) મિનીસ્ટર નાઇજેલ એડમ્સે જણાવ્યું હતું કે કૃષિ સુધારા ભારત માટે “ઘરેલું બાબત” છે.

સંસદીય વેબસાઇટ પર 100,000થી વધુ હસ્તાક્ષરો આકર્ષિત કરનારી ઇ-પિટિશન બાદ આશરે ડઝન જેટલા ક્રોસ-પાર્ટી બ્રિટિશ સાંસદોના જૂથ દ્વારા ભારતમાં કૃષિ સુધારણાના વિરોધ અંગે લંડન સ્થિત પાર્લામેન્ટ સામે આવેલ પોર્ટકુલિસ હાઉસ ખાતે આ ચર્ચા યોજાઇ હતી. જેમાં કેટલાક સાંસદોએ વિડીયોલિંક મારફત ભાગ લીધો હતો. અગાઉ હાઉસ ઑફ કૉમન્સ પિટિશન સમિતિએ પુષ્ટિ આપી હતી કે બ્રિટિશ લૉમેકર્સ સોમવાર તા 8ના રોજ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને વિરોધીઓની સલામતીના મુદ્દા પર ચર્ચા કરશે.

યુકે સરકારે આ ચર્ચા માટે નિમેલા ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસના (એફસીડીઓ) મિનીસ્ટર નાઇજેલ એડમ્સે જણાવ્યું હતું કે ‘’યુકે-ભારતના નજીકના સંબંધો ભારત સાથે “મુશ્કેલ મુદ્દાઓ” ઉભા કરવામાં કોઈ પણ રીતે યુકેમાં અવરોધરૂપ નથી. કૃષિ સુધારા ભારત માટે “ઘરેલું બાબત” છે. આ ભારત સાથે યુકેના સંબંધો માટેની મહત્વાકાંક્ષાનો સમય છે. બંને સરકારો વેપાર અને રોકાણ, આરોગ્ય અને હવામાન પરિવર્તન અને સંરક્ષણ અને સુરક્ષાની વહેંચણીમાં વહેંચાયેલ પ્રાથમિકતાઓને આગળ વધારવાનું કામ કરી રહી છે.”

તેમણે જણાવ્યું હતું કે ‘’અમે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અને આ વર્ષે જૂનના અંતે યોજાનાર જી-7 શિખર સંમેલનમાં વડા પ્રધાન બોરિસ જોન્સનના અતિથિ દેશ તરીકે પણ ભારત સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ સહયોગ અમને વૈશ્વિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે અને તે ભારત અને યુકેમાં સમૃદ્ધિ અને સુખાકારીને મજબૂત બનાવશે. આગામી મહિનાઓમાં બોરીસ જોન્સન ભારતની મુલાકાત લેનાર છે.’’

ભારતીય હાઇ કમિશને નિવેદનમાં જણાવ્યું હતું કે ‘’બ્રિટિશ મીડિયા સહિત વિદેશી મીડિયા જાતે ઉપસ્થિત રહીને ભારતના ખેડુતોના વિરોધ પ્રદર્શનની આસપાસની ઘટનાઓનું સાક્ષી હતું અને તેથી “ભારતમાં મીડિયાની સ્વતંત્રતાના અભાવનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. અમને ઉંડી દિલગીરી છે કે સંતુલિત ચર્ચાને બદલે ખોટા દાવાઓ, સબળ અને તથ્યો વિનાના દાવાઓ કરી વિશ્વની સૌથી મોટી કાર્યરત લોકશાહી અને તેની સંસ્થાઓ પર આળ મૂકવામાં આવ્યું છે. ભારતના હાઈકમિશને, સમયાંતરે, અરજીમાં ઉભા થયેલા મુદ્દાઓ અંગે તમામ સંબંધિતોને જાણ કરવાની કાળજી લીધી હોવા છતાં, ખેડુતોના વિરોધ અંગેના ખોટા વર્ણનને વિકસિત કરવાની માંગ કરવામાં આવી હતી.’’

ભારત સરકારે આક્ષેપોને નકારી કાઢ્યા છે અને વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેટલાક હિતકારી જૂથોએ દેશ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમર્થનને એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. આવી બાબતો પર ટિપ્પણી કરતા પહેલા હકીકતોની તપાસ કરવામાં આવે અને હાથ ધરાયેલા મુદ્દાઓની યોગ્ય સમજણ લેવામાં આવે  જરૂરી છે.

ઇલિંગ સાઉથોલના લેબર સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે “બંને પક્ષે પીછેહઠ કરવાની અને સમજૂતી કરવાની જરૂરિયાતને માન્યતા આપવાની જરૂર છે.’’

ભારત ખાતેના નવા બ્રિટીશ હાઈ કમિશનર એલેક્સ એલિસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘’ખેડુતોનું કૃષી વિરોધી આંદોલન એ ભારતનો ‘આંતરિક મુદ્દો’ છે અને ભારતે જ તેનું નિરાકરણ લાવવાનું છે. મને લાગે છે કે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે તેઓ ભારતમાં હતા ત્યારે જ કહ્યું હતું કે તમારું રાજકારણ એ આપણું રાજકારણ છે’. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતમાં જે બનતું હોય છે તે યુકેમાં ફેલાય છે, તેની પાછળનું આંશિક કારણ એ છે કે યુકેમાં મોટો ભારતીય ડાયસ્પોરા છે, તેથી આ બાબતો ચર્ચામાં આવે છે.