26 સપ્ટેમ્બર 2009ના આ ફાઇલ ફોટોમાં સ્પેનિસ ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ઓડિટોરિયમમાં ગુજરાતી કવિ રઘુવીરર ચૌધરી પાસેથી ગિફ્ટ લઈ રહ્યા છે. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

સવાયા ગુજરાતી તરીકે જાણીતા સાહિત્યકાર ફાધર વાલેસનું તેમના વતન સ્પેનમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. ફાધર વાલેસના અવસાનથી ગુજરાતે એક પનોતો પુત્ર, લોકસેવક અને સાહિત્યકાર ગુમાવ્યો છે.

તેમનો જન્મ ચાર નવેમ્બર, 1925ના સ્પેનના લોગરોનો શહેરમાં થયો હતો. તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા હતા. એ પછી માત્ર છ મહિનામાં સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા અને ભાઇની સાથે લોગારાનો છોડીને નીકળી ગયા.

તેમને ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ હતો. 1949માં તેઓ એક મિશનરી તરીકે ભારતમાં આવ્યા હતા. ભારતમાં આવ્યા પછી તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા હતા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો હતો.

ગુજરાતી ભાષામાં તેમનાં આશરે 17 પુસ્તકો પ્રકાશિત થયાં હતા, જેમાંનાં કેટલાંક બેસ્ટ સેલર બન્યાં હતા. તેમનાં જાણીતા પુસ્તકોમાં ગાંધી- હિંસાનો વિકલ્પ, ભારતમાં નવ રાત્રી, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરેનો સમાવેશ થાય છે.

જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આવા ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા.