વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સિંગ મારફત વારાણસીમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં આશરે 700 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે કાશીમાં જે પણ થઈ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે.

મોદીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ કાશીનું કામ અટક્યું નહીં. વારાણસીમાં વિકાસ યોજનામાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાશીમાં હવે ઘાટની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓની શરૂઆત થઈ રહી છે તેનાથી સ્થાનિક રોજગાર વધશે. કાશીની મોટી સમસ્યા લટકતા વીજળીના તારોની છે, પણ આજે કાશીનો મોટો વિસ્તાર આનાથી મુક્ત થઈ ગયો છે.

મોદીએ કહ્યું કે, પહેલા વારાણસીમાં 12 ફ્લાઈટ ચાલતી હતી, પણ હવે ચાર ગણી ફ્લાઈટ ચાલે છે. કાશીના ઈન્ફ્રોસ્ટ્રક્ચરને અહીંયા રહેતા અને બહારથી આવતા લોકોથી ફાયદો થઈ રહ્યો છે.