(Photo by STR/AFP via Getty Images)

આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ ‘સિતારેં ઝમીન પર’ રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ દર્શકોને એવું સ્વીકારવા મજબૂર કરશે કે, આ જગતમાં હજુ પણ માનવતા અને માણસાઇ છે. આ અંધકારભરી દુનિયાને પેલે પાર હજુ પણ પ્રકાશની આશા છે.

જ્યારે આમિર ખાને જાહેરાત કરી કે, તે તેની 2007ની ફિલ્મ ‘તારે ઝમીન પર’ની સીક્વલ બનાવશે, ત્યારે ખ્યાલ નહોતો કે એ ફિલ્મની કહાનીનું નવી ફિલ્મમાં કઈ રીતે સંયોજન થશે.

આ ફિલ્મની કહાનીમાં કેન્દ્ર સ્થાને એક સ્વાર્થી અને લાગણીહિન બાસ્કેટબોલ કોચ ગુલશન એટલે કે આમિર ખાન છે. તેને ન્યુરોડાયવર્જન્ટ બાળકોને તાલીમ આપવાની ફરજ પાડવામાં આવે છે. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં આમિર આ બાળકો સામે લડે છે, તે માને છે કે આ એક એવા બાળકોનું ટોળું છે, જે ક્યારેય સામાન્ય બાળકો બની શકશે નહીં. તે આ બાળકોની તુલના લગ્નમાં નાચી રહેલા જાનૈયા સાથે પણ કરે છે, જે કોઈ કાળજી કે શિસ્ત વગર પોતાની મસ્તીમાં ફક્ત નાચ્યા જ કરે છે.

બહારથી ગુલશનનું જીવન આદર્શ જણાય છે. પરંતુ નજીકથી જુઓ તો તેમાં ઘણા વિવાદ જોવા મળે છે. તેનું સુનિતા (જેનેલિયા ડીસોઝા) સાથેનું લગ્નજીવન તૂટવાના આરે છે. આ ફિલ્મમાં જેનેલિયા ડીસોઝા તેની પત્ની તરીકે પ્રકાશનું કિરણ છે. તેનો પ્રેમ ગુલશનના જીવનમાં ભાવનાત્મક સ્પર્શ ઉમેરે છે, પરંતુ વાસ્તવિક સ્ટાર્સ દસ ન્યુરો-ડાયવર્જન્ટ કલાકારો છે. તેમનો અભિનય વાસ્તવિક અને હૃદયસ્પર્શી છે.

દિલ્હી બાસ્કેટ બોલ ટીમના હેડ કોચને જાહેરમાં લાફો મારવા માટે ગુલશનને કામમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આમ, છતાં તે હજુ સમજ્યો નથી કે તેનો સાચો દુશ્મન તેની અંદર રહેલો તેનો પોતાનો આત્મા છે. જોકે, તે સ્વીકારે છે કે, તેણે જો વ્યવસ્થિત જીવન જીવવું હશે તો પોતે મનોમંથન કરીને પોતાની જાતનો સામનો કરતા શીખવું પડશે. જ્યારે તે આ માટેના પ્રયત્નો કરે છે, ત્યારે તેને સારા પરિણામો જોવા મળે છે. જ્યારે તે સિતારે ટીમ સાથે જોડાય છે અને તેમની સાથે કામ શરૂ કરે છે, તેમને બાસ્કેટ બોલ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડે છે અને તેને પરિવર્તનનો અનુભવ થાય છે.

આ ફિલ્મમાં ઘણા સંવાદ એવા છે જે મનમાં કાયમી રીતે ગૂંજશે. પરંતુ એક સંવાદ એવો છે જે વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે. તે સંવાદ છે.. ‘સબકા અપના-અપના નોર્મલ.’ સીધી વાત, ઊંડાણથી ભરપૂર-કદાચ આ વાક્ય આજના સમયમાં વધુ પ્રાસંગિક જણાય છે. વધુ જાણવા આ ફિલ્મ જોવી રહી.

 

LEAVE A REPLY