વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વિશેષ ફ્લાઈટમાં વતન પરત લાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે યુકેથી અમદાવાદ એક ફ્લાઈટ ઉતરી હતી જેમાં 172 જેટલા ગુજરાતીઓને લાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ તમામ મુસાફરોને સાત કલાક સુધી અમદાવાદ એરપોર્ટ ઉપર રઝળપાટ કરવી પડી હતી.

તમામ મુસાફરો જરૂરી પ્રક્રિયામાંથી પસાર થયા હતા અને તેમને કોરન્ટાઈન સેન્ટર મોકલવામાં થયેલા વિલંબથી તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આખરે તમામને સંસ્થાકીય કોરન્ટાઈન કેન્દ્ર પર મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

યુકે ઉપરાંત કુવૈતથી પણ 177 જેટલા મુસાફરોને અમદાવાદ પરત લાવવામાં આવ્યા હતા. આમ બે ફ્લાઈટ દ્વારા કુલ 349 મુસાફરોને પરત લાવવામાં આવ્યા હોવાનું અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

અરૂણ મહેશ બાબુને અમદાવાદ આવતી ફ્લાઈટના સંકલન માટેના નોડલ ઓફિસર નિયુક્ત કરાયા છે.અમદાવાદ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ પેસેન્જર્સનું સ્ક્રીનિંગ કરાયા બાદ તેમને ઈન્સ્ટિટ્યુશનલ કોરન્ટાઈન સેન્ટર્સ પર મોકલી આપવામાં આવ્યા હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

વિદેશથી આવતા નાગરિકોને સરકારી વ્યવસ્થામાં કોરન્ટાઈન કરવામાં આવે છે અથવા તો તેમના ખર્ચે તેમને હોટેલમાં કોરન્ટાઈન કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. આ પૂર્વે ફિલિપાઈન્સના મનિલા ખાતેથી ગુજરાતના 244 વિદ્યાર્થીઓને પણ અમદાવાદ ફ્લાઈટમાં લાવવામાં આવ્યા હતા.

આ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ગયા હતા અને કોરોના વાયરસ મહામારીને પગલે વિશ્વભરમાં ફ્લાઈટ સેવા ખોરંભાતા અટવાઈ ગયા હતા. 244 વિદ્યાર્થીઓ પૈકી 137ને મનિલાથી જ્યારે 107ને ન્યૂયોર્કથી પરત લાવવામાં આવ્યા હતા.