સૌરાષ્ટ્ર કચ્છના ગામડામાં કેટલાંક આશ્ચર્યનજક પરિણામ આવ્યાં હતાં. કચ્છમાં ભૂતપૂર્વ વાસણ આહિરના પ્રધાનના પુત્ર પંચાયતની ચૂંટણીમાં હારી ગયાં હતાં તો અમરેલી જિલ્લામાં એક વૃદ્ધા ૮૦ વર્ષે સરપંચ ચુંટાયા હતાં. અંજાર તાલુકાની રતનાલ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં પૂર્વ સરપંચ ત્રિકમ રામજી વરચંદના પત્ની સરિયાબેનનો વિજય થયો છે. સરિયાબેને પોતાના પ્રતિસ્પર્ધી અને પૂર્વ રાજ્યપ્રધાન વાસણભાઈ આહિરના પુત્ર ત્રિકમ આહિરને ૧૫૫ મતોથી હરાવ્યાં હતાં. અમરેલી જિલ્લાના વડીયાના ઈશ્વરીયા ગામે ૮૦ વર્ષના વૃદ્ધ મહિલા સરપંચ તરીકે વિજેતા થયા હતાં. મોતીબેન ડાયાભાઇ સૌંદરવા સરપંચ તરીકે વિજેતા થતા લોકોએ અભિનંદન પાઠવ્યા હતાં હતા.
3 સરપંચ અને એક સભ્ય ચિઠ્ઠીથી જીત્યાં
વડોદરા જિલ્લામાં ત્રણ ગામડામાં સરપંચ ચિઠ્ઠી ઉછાળીને નક્કી કરવા પડ્યાં હતાં. આ જિલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા ગામે, ભરૂચના ઉછાલી ગામે તેમજ પંચમહાલના નાડા ગામે સરપંચના ત્રણ ઉમેદવારોને સરખા મત મળતાં ટાઇ પડી હતી અને ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લીધો હતો. ઝઘડિયા(ભરૂચ)ના પીપલપાન ગામે વોર્ડનં.૧માં બે મહિલાને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળીને એક મહિલાને વિજેતા જાહેર કરાયા હતાં.
પ્રધાનના પુત્રની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર
રાજ્ય સરકારના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારની અરવલ્લી જિલ્લામાં જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાર થતાં મોટો અપસેટ સર્જાયો હતો. કિરણસિંહને માત્ર 751 મત મળ્યા હતાં, જ્યારે વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા હતા. જેમાં પ્રધાનના પુત્રની 600 મતથી હાર થઈ હતી.
