ગુજરાત હાઈકોર્ટની હીરક જયંતીની ઉજવણીનો શનિવારે પ્રારંભ થયો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશેષ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે જે રીતે સત્ય નિષ્ઠાથી કામ કર્યું છે તેનાથી ભારતીય ન્યાય વ્યવસ્થા અને લોકશાહી બંન્નેને મજબૂતી મળી છે. આપણાં બંધારણમાં ન્યાયની જે ધારણાં રહી છે તે ન્યાય દરેક ભારતીયોનો અધિકાર છે. તેથી સરકાર અને ન્યાયપાલિકા બંન્નેનું દાયિત્વ છે કે આપણે દુનિયાની સર્વોત્તમ ન્યાય વ્યવસ્થા કાયમ કરીએ.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાયની ગેરેંટી હોય અને અંતિમ વ્યક્તિને ન્યાય મળે. આપણી ન્યાયપાલિકાએ કઠિન સમયમાં બંધારણિય મૂલ્યોની રક્ષા કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે રૂલ ઓફ લો આપણાં સંસ્કારનો અધિકાર રહ્યો છે. કોરોનાકાળમાં પણ ન્યાયપાલિકાએ સમર્પણ દેખાડ્યું અને વીડિયો કોન્ફરન્સિંગની સુનાવણી યથાવત રાખી હતી. ભારતમાં ઈઝ ઓફ જસ્ટીસને જીવનના સ્તરને સુધાર્યું છે અને ઈઝ ઓફ જસ્ટીસ સુધરવાથી પોતાના દેશમાં વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે. કોઈપણ સમાજમાં નીતિ અને નિયમોની સાર્થકતા ન્યાયથી થાય છે.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ન્યાયથી જ નાગરિકોમાં નિશ્ચિતતા આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ ઓનલાઇન કાર્યક્રમમાં ભારત સરકારના કાયદા પ્રધાન, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સર્વોચ્ચ અદાલત અને હાઇકોર્ટના ન્યાયાધીશો, એડવોકેટ્સ વગેરે જોડાયા હતા.