ભારતમાં કોવિડના સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. ભારતમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.51 લાખ (1,51,460) થઇ ગઇ છે. આ આંકડો શુક્રવાર સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ મૃત્યુ (1,54,823) કરતાં ઓછો છે. સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું હોવાથી ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.40% રહી છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડાની દિશામાં આગેકૂચ જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 12,408 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.
ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કુલ કેસની સંખ્યા (7,828) છે જે, સમગ્ર દુનિયામાં સૌથી ઓછો આંકડો ધરાવતા દેશો પૈકી એક છે. આ સંખ્યા રશિયા, જર્મની, ઇટાલી, બ્રાઝિલ, ફ્રાન્સ, UK અને USA જેવા દેશોમાં ઘણી વધારે છે.
17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે. લક્ષદ્વીપમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ કેસ સંખ્યા 1,722 છે જે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછી છે. 5 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં, દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત અંદાજે 50 લાખ (49,59,445) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.
શુક્રવાર સુધીમાં 11,184 સત્રોનું આયોજન કરીને કુલ 5,09,893 લોકોને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 95,801 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
કોવિડ-19 વિરોધી રસી લેનારા 61% લોકો 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી છે. સમગ્ર ભારતમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 11.9% (5,89,101) લોકોને રસી આપવામાં આવી છે.
આજદિન સુધીમાં દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.04 કરોડ (1,04,96,308) સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 15,853 દર્દીઓ સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી છે. સાજા થવાનો દર 97.16% સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓની વધુ સંખ્યા અને નવા નોંધાતા કેસની ઘટતી સંખ્યાના કારણે કુલ સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધીને 1,03,44,848 થઇ ગયો છે.નવા સાજા થયેલા 85.06% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,341 નવા દર્દી સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 5,339 અને તમિલનાડુમાં 517 નવા દર્દી સાજા થયા છે. શુક્રવાર સવાર સુધીમાં 12,408 નવા દર્દી દૈનિક ધોરણે નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાંથી 84.25% દર્દીઓ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 6,102 દર્દી સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં 2,736 જ્યારે તમિલનાડુમાં 494 કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 120 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલામાંથી 74.17% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (46) મૃ્ત્યુ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 17 જ્યારે પંજાબ અને દિલ્હી પ્રત્યેકમાં વધુ 7 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, આંધ્રપ્રદેશ, ઝારખંડ, પુડુચેરી, મણીપુર, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી અને લક્ષદ્વીપ છે.
ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 112 દર્દીના મૃત્યુ નોંધાયા છે જે દુનિયામાં સૌથી ઓછા પૈકી એક છે. સકારાત્મક પાસું એ છે કે, 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે. લક્ષદ્વીપ પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 0 મૃત્યુ સાથે અગ્રેસર છે.
17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ મૃત્યુની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. દિલ્હીમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 581 દર્દીના મૃત્યુ નોંધાયા છે જે તમામ રાજ્યોમાં સૌથી વધારે છે.