ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ-૨૦૨૩ના અહેવાલ મુજબ વિદેશી પ્રવાસીઓની દૃષ્ટિએ ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન અને સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રીપોર્ટ પ્રમાણે વર્ષ 2022 માં 8.59 મિલિયન વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. જેમાંથી 1.78 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. એટલે કે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો દેશમાં 20.70 ટકા સાથે સૌથી વધુ રહ્યો છે. એ જ પ્રમાણે વર્ષ 2022માં 1731.01 મિલિયન સ્થાનિક પ્રવાસીઓએ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી. જેમાંથી 135.81 મિલિયન પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે ગયા હતા એટલે કે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 7.85 ટકા સાથે દેશમાં પાંચમા સ્થાને રહ્યો છે.
રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યાનુસાર ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ગત વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ પહેલો તેમ જ પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસના પરિણામે આજે ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યું છે.

પ્રવાસન વિભાગ દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતમાં આવતાં પ્રવાસીઓ માટે અનેકવિધ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રવાસન દ્વારા મહત્વનું એવું ATITHYAM પોર્ટલ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે. ગુજરાત આ પ્રકારનું પ્લેટફોર્મ વિકસાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ પોર્ટલ ગુજરાતમાં આવતાં પ્રવાસીઓની સંખ્યાને ટ્રેક કરવા માટે રીઅલ-ટાઇમ ડેશબોર્ડ છે. સમગ્ર રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા મોનિટર કરવા આ એક મહત્વનું પ્લેટફોર્મ છે.

આ ડેશબોર્ડમાં મુખ્ય ૩ ઘટકો જેમ કે જિલ્લા કક્ષાનો ફૂટફોલ, ડેસ્ટિનેશન લેવલ ફૂટફોલ અને MIS રિપોર્ટ શેરિંગ છે. ડેશબોર્ડની અન્ય વિશેષતાઓમાં પ્રવાસીઓની વિગતવાર પ્રોફાઇલ જેવી કે ઉંમર, મૂળ સ્થાન, પ્રકાર, પ્રવાસનો હેતુ વગેરેનો સમાવેશ થાય છે. રાજ્યના જીએસડીપીમાં પ્રવાસન ક્ષેત્રનું યોગદાન અને તેની ખર્ચના હેતુ પરની વિગતો પણ ડૅશબોર્ડમાં ઉપલબ્ધ બનાવાઇ છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યાને ડિજિટલ કરવાની આ પ્રકારની પ્રથમ પહેલ છે જેને ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા સંદર્ભે લેવાયેલા નીતિ વિષયક નિર્ણયોમાં આ પ્લેટફોર્મ માઇલસ્ટોન સાબિત થયું છે.

LEAVE A REPLY

5 × one =