લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા કિંગ્સ કોલેજ લંડનના સથવારે ઇન્ટરનેશનલ યોગ ડે (IDY)ની ઉજવણી કરવા તા. 21 જૂનના રોજ લંડનના સ્ટ્રેન્ડ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેંકડો લોકો એકત્ર થયા હતા.

યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે મહારાજા ચાર્લ્સ III નો ખાસ સંદેશ વાંચ્યો હતો. જેમાં યોગ પ્રત્યેના લગાવ માટે જાણીતા 76 વર્ષીય રાજાએ કહ્યું હતું કે ‘’આ વાર્ષિક ઉજવણીએ એકતા, કરુણા અને સુખાકારીના વૈશ્વિક સિદ્ધાંતોને પ્રોત્સાહન આપ્યું છે. આ વર્ષના યોગ દિવસની થીમ, ‘’યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’’ આપણને યાદ અપાવે છે કે વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે સુખી અને સ્વસ્થ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિશ્વ એક સાથે આવે તે કેટલું મહત્વપૂર્ણ છે. દર વર્ષે યુકેમાં યોગની લોકપ્રિયતા વધી રહી છે અને લાખો લોકો તેનો લાભ મેળવી રહ્યા છે.’’

રાજાએ કહ્યું હતું કે “યોગ એ કોઈપણ વ્યક્તિને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે સક્ષમ બનાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે અને સમુદાયોમાં સુખાકારી અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.”

શ્રી દોરાઇસ્વામીએ કહ્યું હતું કે ‘’સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વિચાર તરીકે રજૂ કરાયેલ ઠરાવને અપનાવ્યાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. યોગ એ એવી બાબત છે જે સાર્વત્રિક ભાષા બોલે છે.”

કિંગ્સ કોલેજ લંડનના હેલ્થ એન્ડ લાઇફ સાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેહામ લોર્ડે જણાવ્યું હતું કે “આ હાઇ કમિશન સાથેની અમારી ઘણી ભાગીદારીઓમાંની એક છે અને યુકે  અને ભારત વચ્ચેની ભાગીદારીનું પણ પ્રતિનિધિત્વ કરે છે. આપણાં માટે વધુ મજબૂત સંબંધ બાંધવો અદ્ભુત છે.”

ભવન યુકે દ્વારા ‘ડ્રમ્સ ઓફ ઈન્ડિયા’ સંગીતમય સેગમેન્ટ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આયંગર યોગનો પરિચય આપવામાં આવ્યો હતો. હાર્ટફુલનેસ યુકે, આર્ટ ઓફ લિવિંગ અને ઈશા ફાઉન્ડેશનના નિષ્ણાતોએ શ્રોતાઓને શ્વાસ લેવાની તકનીકો અને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.  

LEAVE A REPLY