
ભારતના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીએ 2021માં એન્ટિગામાં પોતાના કહેવાતા અપહરણના કાવતરાનું આયોજન કરવા બદલ લંડનની હાઈકોર્ટમાં ભારત સરકાર અને પાંચ અન્ય લોકો સામે દાવો કર્યો છે.
ચોક્સીએ પ્રારંભિક સુનાવણીમાં દાવો કર્યો છે કે R&AW માટે કામ કરતા પાંચ લોકોએ એન્ટિગામાં તેનું અપહરણ કર્યું હતું અને પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપોનો સામનો કરવા માટે તેનું ભારત પ્રત્યાર્પણ કરવા માટે તેને યૉટ પર ડોમિનિકા લઈ ગયા હતા.
એન્ટિગા પોલીસે અપહરણમાં ગુરદીપ બાથ, બાર્બરા જરાબિક, ગુરમિત સિંહ, ગુરજીત સિંહ ભંડલ અને લેસ્લી ફેરો–ગાય નામના પાંચ શંકાસ્પદોના નામ આપ્યા છે, જેમાંથી મોટાભાગના લોકો યુકે સ્થિત છે અને બધા આરોપોને નકારે છે.
નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈ કમિશન દ્વારા કોર્ટના દસ્તાવેજો વિદેશ મંત્રાલયને સુપરત કરવામાં આવ્યા હતા.
ભારતે કોઈપણ સંડોવણીનો ઇનકાર કરી દલીલ કરી છે કે તે સ્ટેટ ઇમ્યુનિટી દ્વારા સુરક્ષિત છે અને યુકેની અદાલતો પાસે આ કેસ માટે અધિકારક્ષેત્ર નથી.
ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા હરીશ સાલ્વે કેસીએ કહ્યું હતું કે “કથિત ઘટનાઓ સાથે ભારતનો કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા નથી. દાવેદારનું નિવેદન નોન–સિક્વિટર્સ અને અસમર્થિત ધારણાઓથી ભરેલું છે. ચોક્સી હાલમાં બેલ્જિયમની જેલમાં છે જ્યાં તે ભારત દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણ કાર્યવાહી સામે લડી રહ્યો છે.
