પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાએ ભારતથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 સંબંધિત ટેસ્ટીંગની જરૂરીયાતો હળવી કરતાં હવે બંને દેશો વચ્ચેનો પ્રવાસ સરળ બનશે. આવી કેટલીક જરૂરીયાતોને કારણે પ્રવાસીઓને વિવિધ પ્રક્રિયામાં અવરોધ ઊભો થતો હતો.
કેનેડા સરકારની ભારત માટેની નવી ટ્રાવેલ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, હવે કેનેડા માટે ડાયરેક્ટ ફલાઈટમાં આવતા લોકોએ દિલ્હી એરપોર્ટ ખાતેની લેબોરેટરીમાંથી RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી નથી. પ્રવાસીઓ RT-PCR ટેસ્ટ ભારતની કોઈપણ માન્ય લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવી શકશે.

કેનેડામાં સંપૂર્ણપણે રસી લીધેલા પ્રવાસીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત છે, જોકે ભારતમાં ઉપયોગમાં લેવાતી કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીઓ હવે પ્રવાસના હેતુઓ માટે કેનેડામાં સ્વીકાર્ય છે. ભારતથી આવનારા પ્રવાસીઓ કનેક્ટિંગ ફ્લાઇટમાં આવતા હોય તો તેમણે કેનેડા પહોંચતા અગાઉ ત્રીજા દેશમાંથી નેગેટીવ ટેસ્ટ કરાવવો પણ હવે જરૂરી રહેશે નહીં. જોકે, કેનેડા પહોંચ્યા પછી કેટલા પ્રવાસીઓનો રેન્ડમ કોવિડ-19 ટેસ્ટ કરવાની જોગવાઈ છે.

અગાઉ ભારતથી કેનેડાના પ્રવાસ માટેના નિયમો કપરા હતા. જેમાં પ્રવાસીઓને કેનેડાના કોઇપણ સ્થળે જવા માટે રવાના થતા ડાયરેક્ટ ફલાઈટમાં જતા હોય તો પહેલા દિલ્હી એરપોર્ટ પરની એકમાત્ર જેનસ્ટ્રીંગ્સ કંપનીની લેબોરેટરીમાંથી નેગેટિવ ટેસ્ટ રીપોર્ટ મેળવવો જરૂરી હતો. જે પ્રવાસીઓ વાયા દિલ્હી થઇને ફ્લાઇટમાં આવતા હતા તેમને આ ટેસ્ટનું પરિણામ મેળવવામાં આઠથી નવ કલાકનો સમય થતો હતો અને આ પ્રક્રિયાથી સમસ્યાઓ ઊભી થતી હતી. આ ટેસ્ટ નિર્ધારિત પ્રસ્થાનના 18 કલાકમાં કરાવવાનો હતો.

જોકે, કેનેડાએ હજુ પણ કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિઅન્ટ અંગેની ચિંતાઓને કારણે વિદેશના કોઈપણ બિન-જરૂરી પ્રવાસ અંગે ચેતવણી આપી છે. જોકે, તે કેનેડામાં આવનારા પ્રવાસીઓને બદલે કેનેડામાંથી બહાર જનારા લોકો છે.
કેનેડાએ બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો ત્યારે ભારત માટે ખાસ ટેસ્ટીંગ નિયમો સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવ્યા હતા, જે ભારતમાં ડેલ્ટાના ફેલાવા અંગેની ચિંતા વધતા ગત વર્ષે એપ્રિલમાં લાદવામાં આવ્યો હતા.