જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કોઇ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવા સ્પષ્ટ સંકેતો ઊભરી રહ્યાં છે. આ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે વખત સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક યોજી છે અને તેની સાથે ત્રણેય લશ્કરી દળોના વડાઓ સાથે પણ બંધબારણે બેઠક યોજી હતી. છેલ્લા કેટલાંક દિવસોમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ટોચના પ્રધાન અને સુરક્ષા સંસ્થાના અધિકારીઓ દ્વારા અનેક બેઠકો યોજાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લશ્કરી દળોને વળતી કાર્યવાહીની પદ્ધતિ, ટાર્ગેટ અને સમય નક્કી કરવાની સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા પણ આપી છે. દેશની જનતા પણ પડોશી દેશ સામે કડક પગલાં લેવાની માગણી કરી રહી છે. બીજી તરફ દરમિયાન ભારતના વિવિધ નેતાઓની સતત વોર્નિંગ વચ્ચે પાકિસ્તાને તેના સુરક્ષા દળોને હાઇ એલર્ટ રાખ્યાં છે.
મોટી કાર્યવાહીનો સંકેત આપતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન તરીકે તેમની જવાબદારી એ છે કે તેઓ ભારત પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપે. તેઓ ખાતરી આપે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જે ઈચ્છે છે તે ચોક્કસપણે થશે.
દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવને સંબોધતા પ્રધાન રાજનાથ સિંહે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘કાર્યશૈલી’ યાદ અપાવીને જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે જે ઈચ્છો છો તે ચોક્કસપણે થશે. લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારી રીતે જાણે છે તથા તેમની કાર્યશૈલી, તેમના દૃઢનિશ્ચય અને તેમના જીવનમાં “જોખમ લેવા” જે રીતે શીખ્યા છે તેનાથી ખૂબ પરિચિત છે.
તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન તરીકે મારી જવાબદારી છે કે હું મારા સૈનિકો સાથે કામ કરું અને દેશની સરહદોનું રક્ષણ સુનિશ્ચિત કરું. મારી જવાબદારી છે કે હું સશસ્ત્ર દળો સાથે કામ કરીને આપણા દેશ પર ખરાબ નજર રાખનારાઓને યોગ્ય જવાબ આપું.
અગાઉ 23 એપ્રિલે પણ સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ લોકોને નજીકના ભવિષ્યમાં આકરો જવાબ આપવામાં આવશે અને ભારતને આવી આતંકવાદી પ્રવૃત્તિઓથી ડરાવી શકાશે નહીં.
મંગળવારે આર્મીના ટોચના કમાન્ડરો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોને પદ્ધતિ, ટાર્ગેટ અને સમય નક્કી કરવાની સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા છે.
2016 ઉરીમાં આતંકવાદી હુમલાના આશરે 11 દિવસ પછી ભારતીય આર્મીએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને જવાબ આપ્યો હતો. 2019ના પુલવામા હુમલાનો બદલો 12 દિવસ પછી એરસ્ટ્રાઇકથી લેવાયો હતો.
