જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ પુલવામા હુમલા પાર્ટ-2ને અંજામ આપવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યુ છે પણ તેની પાછળની બીજી પણ સ્ફોટક હકિકતો બહાર આવી રહી છે.સેન્ટ્રો કારમાં રહેલા 40 કિલો જેટલા વિસ્ફોટકો સુરક્ષાબળોએ ડિફ્યુઝ કરી દીધા છે.

જો આ કાર સુરક્ષાદળોની નજરમાં ના આવી હોત તો કદાચ પુલવામામાં અગાઉ થયેલા હુમલાની જેમ સેંકડો સૈનિકો શહીદ થયા હોત. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જાણકારી આપતા કહ્યુ હતુ કે, 40 કિલો વિસ્ફોટકો ભરેલી સફેદ સેન્ટ્રો કારને લઈને ત્રણ ચાર દિવસથી ઈનપુટ મળી રહ્યા હતા. કેટલીક ચેક પોસ્ટ પર આ સેન્ટ્રો કાર રોકાઈ જ નહોતી. જેના કારણે અમારી શંકા વધારે મજબૂત બની હતી.

ઉપરાંત કારમાં વિસ્ફોટકો હોવાની બાતમી પણ મળી હતી. જેના કારણે સુરક્ષાદળોની સતર્કતા વધારી દેવાઈ હતી.આ મામલાની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી કરવાની છે. જેની એક ટીમ આ વિસ્તારની મુલાકાત પણ લેશે.જે કારમાંથી વિસ્ફોટકો મળ્યા છે તેના પરની નંબર પ્લેટ ટુ વ્હીલરની હોવાની અને આ નંબર કઠુઆના વાહનનો હોવાનો પણ પર્દાફાશ થયો છે.

આતંકીઓ ગાડીને સુરક્ષાદળોની નજરમાંથી છુપાવીને ફેરવી રહ્યા હતા અને તેમનો ઈરાદો લાગ જોઈને આ કારનો ઉપયોગ પુલવામાની જેમ વિસ્ફોટ માટે કરવાનો તો.જોકે પુલવામા જિલ્લાના રજાપુરા રોડ પાસે કાર પકડાઈ ગઈ હતી. એ પછી બોમ્બ વિસ્ફોટક સ્કવોડે આસપાસનો વિસ્તાર ખાલી કરીને આ વિસ્ફોટકોને ડિફ્યુઝ કરી નાંખ્યા ત્યારે નાનકડો ધડાકો પણ થયો હતો.